Published By : Aarti Machhi
ગઝલના બાદશાહ ગાલિબની આત્માને રંગમંચ પર રજૂ કરતું નાટક મીર્ઝા ગાલિબ. ગુરુવાર ૮મી ફેબ્રુઆરી ૨૦૨૪ અમદાવાદના સાહિત્ય પરિષદ હોલ ખાતે ભજવાયું.
અમેરિકા નિવાસી મુસ્તફા અજમેરી અને ગાલિબપ્રેમી મિત્રવર્તુળના સૌજન્યથી નૌશાદ લાઇટવાલાએ અંકુર પઠાણ અને ગઝલ કલબના પ્રોડક્ષન હેઠળ ગાલિબને તખ્તા પર રજૂ કર્યા. પ્રથમ પ્રયોગ આમંત્રિતો માટે હતો. રાત્રે ૮ કલાકને ૩૫ મિનિટથી ૧૦ કલાકને ૩૫ મિનિટ સુધી એક ક્ષણના વિરામ વિના કરતલધ્વનિ અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પ્રેક્ષકોએ માણ્યો. મારી સાથે બકુલભાઈ પરાગજી, મુકેશભાઇ શાહ, દિનેશભાઈ પટેલ અને સુરેશ પઢિયાર(પીન્ટો) હતા.

સાહિત્ય પરિષદના હોલના પ્રવેશદ્વારની બહાર કતારબંધ ફાનસ પ્રગટાવેલા, પ્રવેશપત્રિકા સાથે દેશી ગુલાબ અને ૧૦ પાનાની પુસ્તિકા આપવામાં આવી. સભાગૃહમાં મનપસંદ બેઠક પર બેસવાની છૂટ હતી. વાતાનુકુલિત હોલમાં લોબાનની ધ્રુમસેરથી દિલ્હીની કાસિમ જાન બલ્લીમારાન ગલીમાં ગાલિબની હવેલીની આસપાસ આવ્યા હોય તેવી અનુભૂતિ થતી હતી.
પડદો ખુલતા પહેલા સ્ટેજ પર મધ્યભાગથી સરખા અંતરે રાખેલા બે ગોલ્ડન સ્ટેન્ડમાં સફેદ રંગની મીણબત્તી પ્રગટાવવામાં આવી. પડદો ખૂલ્યો. વારાફરતી ભૂરા અને પીળા રંગના સ્પોર્ટ લાઈટથી રંગમંચની પ્રોપર્ટીની ઝલક દેખાવા માંડી.
નીતિ શ્રીવાસ્તવે સ્વપરિચય આપતા ગાલિબની રચનાઓની ચાહક છે, ગાલિબની હવેલીમાં આવી છે. સંજય શ્રીવાસ્તવનો પ્રવેશ. એઓએ ગાલિબ પર ડોક્ટર ઓફ ફિલોસોફી કરી છે, એટલે નીતીના ગાલિબ વિશે જાણવાની ઉત્કંઠાના સવાલોના અધિકૃત્ત જવાબો આપે છે.
है और भी दुनिया में
सुखनवर बहोत अच्छे,
कहते है कि
ग़ालिब का अंदाजे बया और
ગાલિબનો પ્રવેશ. રંગમંચની મધ્યમાં બાંકડો એની સામે ગોળ ટેબલ એની પર પુસ્તકો અને કાગળ અને કલમ.
સૂત્રધાર રંગમંચની દિવાલ પર રાખેલી તસવીર અને તેની નીચે લખેલા ગાલિબની ગઝલના શેરનું પઠન કરે, એ પછી ગાલિબની પ્રેમિકા મુગલ જાન નૃત્ય સાથે પેશ કરે.
ગાલિબના જીવનકવનની રસપ્રદ તારીખ અને તવારીખ પીરસવામાં આવે. પ્રેક્ષકો મંત્રમુગ્ધ થતા જાય. પૂરું નામ : મીર્ઝા અસાદુલ્લા બેગ ખાન
ગાલિબનો જન્મ ૨૭મી ડિસેમ્બર ૧૭૯૭ કલામહલ, આગ્રામાં.
અવસાન : ૧૫મી ફેબ્રુઆરી ૧૮૬૯, ગલી કાસમ જાન,દિલ્હી
કબર : મઝર-એ-ગાલિબ
પત્ની : ઉમરાવ બેગમ (૧૮૧૦-૧૮૬૯), માતાપિતા : મીર્ઝા અબ્દુલાહ બેગ ખાન, તુર્કી. ઈઝાઝત-ઉત-નીસા બેગમ, કાશ્મીરી, ઉઝબેકિસ્તાન સમકંદ ખાતે પરિવાર સ્થાયી થયો. ગાલિબ નાની વયે અનાથ થયા. મીર્ઝા ગાલિબ ઉર્દુ અને પરસિયનમાં લખતા. પરસિયનમાં એમણે ઉર્દુ કરતા પાંચ ગણું લખ્યું હતું. તેર વર્ષની ઉંમરે એ દિલ્હીમાં વસ્યા.
લોહારુ અને ફિરોઝપુર ઝીક્રના નવાબની ભત્રીજી સાથે એમની શાદી થઈ હતી. એ ૫૦ વર્ષ દિલ્હીમાં રહ્યા. ગાલિબે ક્યારે પોતાનું ઘર બનાવ્યું નહિ. એ હંમેશા ભાડાના મકાનમાં જ રહ્યા. ગાલિબ ચુસ્ત ધર્મપ્રેમી ન હતા, અલ્લાહમાં માનતા પણ ધાર્મિક વીધિઓને વળગી રહેવાનો આગ્રહ નહિં રાખતા.
નૃત્યાગના અને તવાયફ મુગલ જાનને પ્રેમ કરતા. ગાલીબ શિયા મુસ્લિમ હતા. મુસ્લિમ અને હિન્દુઓ ગાલિબની રચનાઓને ચાહતા.

ગાલિબની કવિતામાં ફિલોસોફી હતી. એ માનતા કવિતાએ ફ્ર્રિડમ ઓફ એક્ષપ્રેશન છે. પ્રેમ, રોમાન્સ, અસ્તિત્વ, અલ્લાહની ભરપૂર કૃપા, સત્ય અને સમયની ગાઢ વાતો ગાલિબ એમની રચનામાં રજૂ કરતા. ‘જે ભટકે, રખડે તેને રોટલો મળે’ એવું દ્રઢ પૂર્વક ગાલિબ માનતા.
મિર્ઝા ગાલિબની શાયરીમાં ન કોઈ મઝહબ કે જાતિ માટે પક્ષપાત હતો. જે કોઈ સાંભળે એ બોલી ઊઠે કે આ તો ગાલિબનો શેર છે.
हुई मुद्द्त कि ग़ालिब मर गया
पर याद आता है,
वो हर एक बात पर कहना की
यु होता तो क्या होता |
ગાલિબ પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. એમની ચાચા નસરુલ્લાહ બેગે જીમ્મેદારી સ્વીકારી. ગાલિબ નવ વર્ષના થયા ત્યારે એમનું મૃત્યુ થયું. ગાલિબ ક્યારે મદરેસામાં શિક્ષણ મેળવવા ગયા ન હતા. મુલ્લા અબ્દુલ સમદ એમના શિક્ષક હતા. એમણે અરબી, ફારસી, દર્શનશાસ્ત્ર શીખવ્યું હતું.
ગાલિબે ૧૧ વર્ષની ઉંમરે શાયરી લખવાનું શરૂ કર્યું હતું. ૧૩ વર્ષે એમના લગ્ન થયા. લોહારુ અને ઝીરકાના પહેલા નવાબની ભત્રીજી ઉમરાવ બેગમ સાથે શાદી થઈ. ગાલિબને સાત સંતાન થયા. એક પણ જીવતું રહ્યું ન હતું. એમની પત્નીએ ભત્રીજા આરીફને દત્તક લીધો હતો. જે ૩૬ વર્ષનો થયો ને મૃત્યુ થયું. ગાલિબના સાસરા પક્ષવાળા અમીર હતા. ગાલિબને મોંઘી શરાબ પીવાનો શોખ હતો. કલ્લુ નામનો નોકર જે શરાબમાં ગુલાબજળ નાખી એને માટીમાં દબાવી રાખતો. ગાલિબને મોતનો ડર ન હતો, એમના વિલાસી જીવનમાં કોઈ વસ્તુની ખેંચ પડે એનાથી એ ગભરાતા.
દિલ્હીમાં ૧૮૦૬ થી ૧૮૩૭ અકબર શાહ દ્વિતીયનું શાસન હતું. તે દરમિયાન ગાલિબની શાયરી લોકપ્રિય બનવા માંડી. ત્યારે ગાલિબ ૧૯ વર્ષના હતા. એ પછી એમણે બહાદુર શાહ ઝફરના દરબારમાં મહત્વનું સ્થાન મેળવ્યું. ૧૮૫૦માં એમણે દબીર-ઉલ-મુલ્ક, ‘નજમ-ઉદ-દૌલા’ અને મિર્ઝા નિશોની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી.
ગાલિબ બહાદુર ઝફરના પુત્ર ફખરુદ્દીન મીર્ઝાના શિક્ષક નિયુક્ત થયા.

૧૮૫૭માં વિદ્રોહમાં ગાલિબને કર્નલ બુન સામે રજૂ કરવામાં આવ્યા. એમને પૂછવામાં આવ્યું. આપ મુસલમાન છો ?
में आधा मुसलमान हूँ
क्योकि में शराब पीता हूँ
और सुव्वर का घोष नहि खाता हूँ
એમને ૬ મહિનાની કેદ થઈ હતી.
बस कि दुश्मन है, हर काम होना…
आदमी को भी मय्यसर नहीं इंसान होना…
(मय्यसर : પોસાય એવુ)
ગાલિબ કર્મકાંડી ન હતા. તેઓ આધ્યાત્મિક અને સ્વઘોષિત સૂફી હતા. ગાલિબ મુગલોં અને અંગ્રેજો પર અનુદાન અને પેન્શન પર નિર્ભર હતા. એમણે એ માટે કલકત્તા જવું પડ્યું. એ અંગ્રેજોની ચાપલુસી કરવાની વિરુદ્ધમાં હતા. ગાલિબે આખી જિંદગી પુસ્તકો ખરીદ્યા ન હતા. પણ પુસ્તકોનું વાંચન સતત કરતા રહ્યા. પુસ્તકાલયમાંથી ઉધાર પુસ્તકો લેતા રહેતા.
ગાલિબ જુગાર રમતા પકડાયા હતા. અંગ્રેજ પોલીસ પકડી ગઈ, એની જાણ નવાબને થતા એમના કહેવાથી એમને જેલમુક્ત કર્યા.
તવાયફ મુગલ જાનને ગાલિબ રૂબરૂ ક્યારેય મળ્યા ન હતા.
दिले नादाँ तुजे हुआ क्या है
आखिर इस दर्द कि दवा क्या है
એના કોઠા પર ગાતી અને દાદ મેળવતી. એણે કાસિદ (પોસ્ટમેન/ટપાલી)ને ગાલિબની હવેલી પર મોકલી કોઠામાં નૃત્ય સાથે ગાઈ શકાય એવી ગઝલ લખી આપવા વિનંતી કરી.
ગાલિબે ગઝલ લખી મોકલી. ગાલિબ ક્યારેય મુગલ જાનને રૂબરૂ મળ્યા ન હતા. એમની માતાને મ્ળ્યા ત્યારે ખબર પડી કે મુગલ જાન મૃત્યુ પામી છે, એની કબર પર ગાલિબ ગયા. કબર પર લખાણ હતું.
ये नथी हमारी किस्मत
ગાલિબની પેન્શન અરજી અંગ્રેજોએ નકારી. એવું જે દિવસે જાણ્યું એ જ દિવસે તેમના પાંચ વર્ષના પુત્રના અવસાનના સમાચાર આવ્યા. બે દુઃખદ ઘટના એક જ દિવસે બની અને એમણે લખ્યું…
दर्द का हदसे से गुजर जाना ही दवा हो जाना
એ વખતે અંગ્રેજોની તાનાશાહી હદ પાર વટાવી ચૂકી હતી. ગાલિબના કેટલાય મિત્રો, સગાસબંધીઓ એનો ભોગ બન્યા. ત્યારે ગાલિબની કલમમાંથી શબ્દો સરી પડ્યા.
इतने जनाजे उठाये, कि जब में मरूंगा
तो कोई कंधा देने वाला न रहा |
બહાદુર શાહ ઝફરના દરબારમાં ઈબ્રાહીમ ઝોક અવ્વલ નંબરના શાયર હતા. તેમની હાજરીમાં ગાલિબે રજૂ કરેલી ગઝલ સાંભળી ઇબ્રાહીમ ઝોકે પોતાનું નંબર વન પદ હસતા મોઢે સુપ્રત કર્યું હતું. એટલે જ મીર્ઝા ગાલિબ
हर एक बात पे कहते हो तूम कि “तू क्या है”
तुमहि कहो की यह अंदाज – ए – गुफ्तगू क्या है

૭૧ વર્ષે ગાલિબનું અવસાન થયું. ગાલિબની હવેલીમાં છેલ્લા શ્વાસ લીધા એ પુરાની દિલ્હી, ચાંદની ચોક, બલ્લી મારાન ગલી કાસિમ જાનમાં એક જર્જરિત ઈમારત રૂપે હયાત છે.
‘મીર્ઝા ગાલિબ’ના નિર્માતા, આયોજકોને વિનંતી સૂર્યનગરી, તાપી તટે સુરતમાં અને સંસ્કારી નગરી વડોદરામાં આ નાટકના શો યોજાય તો ટિકિટ લઈને મીર્ઝા ગાલિબ જોવા પ્રેક્ષકો જરૂર આવશે.
ગઝલકાર જગજીત સિંઘની જન્મ તારીખ (૮ ફેબ્રુઆરી)એ આ નાટક જોયું હતું. આજે તારીખ ૧૫મી ફેબ્રુઆરી ગાલિબની અવસાન તારીખે આ બ્લોગ બ્લોગ લખ્યો છે. ગાલિબને ભાવભીની અંજલિરૂપે.
