Published by : Rana Kajal
- તંત્રે આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ 12 દિવસ બ્રિજ બંધનું કમૂહુર્ત કાઢ્યું હતું
- વાલીઓ અને લોકોનો વિરોધ વંટોળ ઉઠતાં પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમારકામ નહિ
અંકલેશ્વર ONGC બ્રિજને સમારકામ માટે 12 દિવસ બંધ કરવાના જાહેરનામાને વાલીઓ તેમજ લોકોનો હોબાળો મચ્યા બાદ તંત્રને જ્ઞાન લાઢતા બોર્ડની પરીક્ષાને લઇ રદ કર્યું છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારે સાંજે OLD NH 8 ઉપર આવેલા અંકલેશ્વર ONGC બ્રિજને સમારકામ માટે બંધ કરવા જાહેરનામું જારી કરાયું હતું. અંકલેશ્વર શહેરને GIDC સાથે જોડતો આ વર્ષો જૂનો સ્પાન બ્રિજ જર્જરીત બન્યો હતો.

જે બ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા આજે 14 માર્ચ થી 25 માર્ચ 12 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. બ્રિજ સુરત, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી હતો.
બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન NH 48 સર્વિસ રોડ પરથી હવા મહેલ પીરામણ ગામ ચૌટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવરનો બન્ને તરફ આપવામાં આવ્યું હતું.

આજે મંગળવારથી જ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય જે 29 માર્ચ સુધી ચાલતી હોય વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં પણ આ અંગે અનેક પોસ્ટ મૂકી નારાજગી વ્યકત કરાઈ હતી.
અંતે આજે મંગળવારે RDC એન.આર. ધાંધલ દ્વારા સમારકામ માટે બ્રિજને બંધ કરતું જાહેરનામું હજારો વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ રદ કરાયું છે.