કેન્દ્ર સરકાર હવે આધારકાર્ડની માફક લગભગ દરેક જગ્યાએ જન્મ પ્રમાણપત્રને એક ફરજિયાત દસ્તાવેજ બનાવાનો પ્રસ્તાવ લાવી શકે છે. શૈક્ષણિક સંસ્થામાં એડમિશન, મતદાર યાદીમાં નામ, કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓમાં નિમણૂંક, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ બનાવવા જેવા કેટલાય જરુરી કામોમાં હવે જન્મ પ્રમાણ પત્રને એક ફરજિયાત દસ્તાવેજ બનાવાની દિશામાં કામ કરી રહી છે. એક ડ્રાફ્ટ બિલ અનુસાર, જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ, 1969માં સંશોધન કરી શકે છે. કેન્દ્રીય રીતે સંગ્રહિત ડેટાને વાસ્તવિક સમયમાં કોઈ પણ માનવ ઈંટરફેસની જરુરિયાત વિના અપડેટ કરવામાં આવશે. તેમાં જ્યારે કોઈ વ્યક્તિ 18 વર્ષનો થઈ જાય છે, તો તે મતદાર યાદીમાં જોડાય જશે અને તેના મૃત્યુ બાદ તે હટી જશે.
આરબીડી અધિનિયમ, 1969 અંતર્ગત જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન પહેલાથી જ ફરજિયાત છે અને તેનું ઉલ્લંઘન કરવું દંડનીય અપરાધ છે. સરકાર હવે સ્કૂલોમાં પ્રવેશ અને લગ્ન રજીસ્ટ્રેશન જેવી પાયાની સુવિધાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવીને તેના અનુપાલનમાં સુધારો કરવા માગે છે. ગૃહમંત્રાલય દ્વારા પ્રસ્તાવિત આરબીડી અધિનિયમ, 1969માં સંશોધન કરનારા આ બિલમાં કહેવાયુ છે કે, સ્થાનિક રજીસ્ટ્રારો દ્વારા જાહેર કરવામાં આવેલા બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કોઈ વ્યક્તિની જન્મતારીખ અને સ્થાનને સાબિત કરવા માટે કરવામાં આવશે.
આ બિલને 7 ડિસેમ્બરથી શરુ થતાં સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાની સંભાવના છે. મામલા પર જાણકાર લોકોએ કહ્યું કે, રાજ્ય સરકારો તેના પર ટિપ્પણી મળી છે અને તેમાં જરુરી પરિવર્તનો સામેલ કર્યા છે. આગામી સત્રમાં 17 બેઠકો છે. એટલા માટે આ બિલ પર ચર્ચા આગામી સત્રથી કરી શકાય છે.