- હુમલામાં એકનું મોત નીપજ્યું
- પરિવારમાં ગમગીની છવાઈ
ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વાતની હોવાની વિગતો સામે આવી રહી છે. ગત રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે હુમલાણી ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં ગરકી ગયા છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-25-at-6.20.54-AM-1.jpeg)
અસામમાં રાત્રે 3 થી 4 ના સમયગાળા ફાયરિંગ થયું…
ઘટનાની મળતી માહિતી મુજબ આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે જઈને વસ્યા છે. ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા. રાતે 3 થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધી ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો. ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી જે હાથના ભાગે વાગતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-25-at-6.20.54-AM-2.jpeg)
બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટના અને એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત એસટી કર્મચારી ઈબ્રાહીમ કરકરિયા અને તેમનું પરિવાર શોકમગ્ન બન્યું છે.
ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં સ્થાયી થયા છે. લૂંટના ઇરાદે ભારતીય યુવાનો સમયાંતરે સ્થાનિકો ટોળકીઓનો શિકાર બને છે ત્યારે સ્વજનોની ચિંતાને લઈ ગુજરાતમાં રહેતા પરિવારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.