- છેલ્લા 100 વર્ષથી માતાજીના પ્રતિકરૂપે શ્રી ફળનું સ્થાપન કરી ઉજવણી
નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. સમાજના લોકો દ્વારા છેલ્લા 100 વર્ષથી માતાજીના પ્રતિકરૂપે શ્રી ફળનું સ્થાપન કરવામાં આવે છે અને તેની આરાધના કરવામાં આવી રહી છે.

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રી પર્વ દરમ્યાન માતાજીની ભક્તિભાવ પૂર્વક આરાધના કરવામાં આવે છે.ગુજરાતમાં માતાજીનાં પ્રતિક રૂપે ગરબીની સ્થાપના કરવામાં આવે છે પરંતુ અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજના રોજાસા પરિવાર દ્વારા અનોખી રીતે માતાજીની ભકતી કરવામાં આવે છે. અંકલેશ્વરમાં વસતા 90થી વધુ રોજાસા પરિવાર દ્વારા આસો નવરાત્રીના પ્રથમ દિવસે શ્રીફળની માતાજીના પ્રતિકરૂપે સ્થાપના કરવામાં આવે છે. અત્યંત ભકતીભાવ પૂર્વક શ્રી ફળની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. સમાજના સભ્યોના દાવા અનુસાર આ શ્રી ફળ 100 વર્ષ જૂના છે અને દર વર્ષે તેનું જ સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ આ શ્રી ફળને એક કપડામાં બાંધી તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવે છે.માતાજીનાં પ્રતિક સમાન શ્રીફળના દર્શન માટે ભક્તો પધારે છે અને સુખી જીવનની કામના પણ કરે છે.