Published By:-Bhavika Sasiya
રાજ્યમાં એક પછી એક વિવાદ ઉભા થઇ રહ્યા છે ત્યારે તાજેતરમાં એક નવો વિવાદ ઉભો થયો છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિયુક્તિ ખોટી રીતે કરવામાં આવી હોવાની ફરિયાદ એનએસયુઆઇ દ્વારા રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી.આ મુદ્દે ભારે વિરોધ થાય તે પહેલાં જ ધારાસભ્યએ સરકાર જે નિર્ણય કરે તે મંજૂર હોવાની સ્પષ્ટતા કરી દીધી છે.હાલમાં થોડા વખત પહેલાં સરકાર દ્વારા બે સભ્યોમાં એક એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આમ, સરકાર નિયુક્ત બે ધારાસભ્યોની નિમણૂક કરાયા બાદ એનએસયુઆઇ દ્વારા આજે એવો ખુલાસો કરાયો હતો કે, નિયમ પ્રમાણે યુનિવર્સિટીની સેનેટમાં 62 વર્ષથી વધારે ઉંમર ધરાવતાં કોઇપણ સભ્યને સેનેટસભ્ય તરીકે નિયુક્ત કરી શકાતા નથી. ધારાસભ્ય અમિત શાહે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 2022માં આપેલી એફિડેવિટમાં પોતાની ઉમર 63 વર્ષ દર્શાવી હતી. આમ, ચૂંટણી સમયે જ તેમની ઉંમર 62 વર્ષ કરતા વધારે હતી તો પછી તેમની સેનેટ સભ્ય તરીકે નિયુક્તિ કેમ કરવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ખોટા પુરાવાઓ આપીને સભ્ય બન્યા હોય તો તેમની સામે પગલાં લેવા જોઇએ તેવી માગણી પણ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દે ગઇકાલે રાજ્યપાલ સમક્ષ પણ ફરિયાદ કરી દેવામાં આવી છે. બીજીબાજુ આજે ધારાસભ્ય અમિતશાહે એવી સ્પષ્ટતા કરી હતી કે, જો ખરેખર નિયમોમાં જોગવાઇ હોય તો સરકાર જે નિર્ણય કરશે તે મને મંજૂર છે.