Published by : Anu Shukla
- કોવિશિલ્ડના 5 લાખ અને કોવેક્સિનના 1 લાખ ડોઝ મળશે
- સરકાર હવે ફરીવાર પ્રિકોશન ડોઝ માટેની ડ્રાઈવ શરૂ કરશે
વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ફરી હાહાકાર મચાવી રહ્યો છે. એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો સિંગલ આંકડામાં આવતા વેક્સિનેશનની પ્રકિયા સાવ ધીમી થઈ ગઈ હતી. લોકો પણ પ્રિકોશન ડોઝ લેવા માટે સાવ બેદરકારી દાખવતા હતાં. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટની જાણ થતાં જ ગુજરાતમાં વેક્સિન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. રાજ્યમાં અનેક જગ્યાએ હાલમાં વેક્સિન ઉપલબ્ધ નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પાસે વેક્સિનના વધુ ડોઝ માંગ્યાં છે.
સરકાર પ્રિકોશન ડોઝ માટેની ડ્રાઈવ શરૂ કરી દેશે
કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વેક્સિન આપવા માટે તૈયારી દર્શાવી છે. ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ 6 લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના 5 લાખ જ્યારે કોવેક્સિનના 1 લાખ ડોઝ મળશે.તાજેતરમાં જ આરોગ્ય મંત્રીએ મોકડ્રિલ બાદ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર પાસે વેક્સિનના જથ્થાની માંગ કરી છે. જે ટુંક સમયમાં મળી જશે અને સરકાર ફરીવાર પ્રિકોશન ડોઝ માટેની ડ્રાઈવ શરૂ કરી દેશે.
ગુજરાતમાં ગઈકાલે માત્ર બે જ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસો હવે નહીંવત પ્રમાણમાં આવી રહ્યાં છે. ગઈકાલે કોરોનાના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 1 કેસ અને મહેસાણામાં 1 વ્યક્તિ કોરોનાના સંક્રમણનો ભોગ બની છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના 31 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ 36 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 46,00 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.