ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી(AAP)એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી છે. આજે ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરાશે. આ ઉપરાંત દિવસે ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી
ચૂંટણી પહેલાં નવા સંકલ્પપત્ર-ચૂંટણીઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપનાં 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વીમા સહિતના અનેક હક્કો ભાજપે ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
વધુ મુદ્દાની જાહેરાત તબક્કાવાર કરાશે
ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્હીથી આવેલી પોતાની જ ”બી ટીમ” સાથે રેવડી કલ્ચરના નામે ”મિલીઝુલી કુસ્તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના 11 મુદ્દાનો સંકલ્પપત્ર દેશના છતીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવાં અનેક રાજ્યો અમલ કરી ચૂક્યાં છે. આ સંકલ્પપત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા ”દ્વારકા ઘોષણા પત્ર”ના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.