- નેત્રંગ – થવા માર્ગ ઉપર રસ્તા ઉપરનો ખાડો બચાવવા જતાં પરિવાર ડેમની ખાડીમાં ગરક થયો
- પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકીનું અરેરાટીભર્યું મોત
ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો હતો. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા હતા. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતા પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
મૂળ રાજપીપળા અને હાલ નેત્રંગની ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા 34 વર્ષીય સંદીપભાઈ વસાવા તેઓના પત્ની યોગીતા ઉ.વ. 32 કે જેઓ વાલિયા તાલુકાનાં કામલીયા ગામ ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે તેઓ અને તેઓની 3 વર્ષની દીકરી માહી બુધવારની રાતે રાત્રિ ભોજન અર્થે એક હોટલમાં ગયા હતા. તેઓ ત્યાંથી પરત ફરી રહ્યા હતા દરમિયાન નેત્રંગ તાલુકાનાં કૂંપ ગામ પાસે માર્ગ ઉપર પડેલ મસમોટા ખાડામાં તેઓની કારનું ટાયર પડ્યું હતું જેને બચાવવા જતાં ચાલક સંદીપભાઈએ સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાંથી પસાર થતી બલદેવા ડેમની ખાડીમાં કાર ઉતરી ગઈ હતી.
ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા. બચવા માટે બુમરાણ તો મચાવી પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે તેમ ન હતું. અને ત્રણેય વ્યક્તિઓના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં હતા. બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામા આવ્યા હતા ઘટના અંગે સંદીપ ભાઈ ના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત રોડ રસ્તા અને સુવિધા માટે જાણીતું હતું પરંતુ હવે ગુજરાત એ જ રોડ રસ્તાઓ ઉપરના ખાડાઓ માટે જાણીતું બન્યું છે રોડ રસ્તાની ગુણવતા એટલી તકલાદી હોય છે કે માર્ગ બન્યાના 2-3 વર્ષમાં જ તેના ઉપર મસમોટા ખાડા પડી જાય છે ત્યારે ભ્રષ્ટચારીઓના કારણે માસૂમ પરિવારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.