Published by : Rana Kajal
પરણિત મહિલાએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો તો બદલામા મોત મળ્યુ. વિધર્મી પ્રેમીએ પરણીત પ્રેમિકાનું ગળુ દબાવી નિર્મમ હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.
વડોદરા નજીક આવેલ પોર GIDCમાં રહેતી મિત્તલ રાજુભાઇ બાવળીયા નામની મહીલાને છેલ્લા સાત-આઠ વર્ષથી ઇસ્માઇલ ઇબ્રાહિમ પરમાર (રહે. ગામ. ખેરડા. તા કરજણ, જી. વડોદરા) સાથે પ્રેમ સંબંધ હતો. મિત્તલ પરિણીત છે અને તેના લગ્ન રાજુભાઇ બાવળિયા સાથે થયેલા હતા. પરંતુ ઇસ્માઇલ સાથે પ્રેમ સંબંધ હોવાથી મિત્તલે ઇસ્માઇલને અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રૂપિયા મિત્તલ વાંરવાર પરત માંગતી હતી. પરંતુ ઇસ્માઇલ રુપિયા પરત આપવાને બદલે વાયદા પર વાયદા કરતો હતો. મિત્તલના રૂપિયાની માંગણી વધતા આખરે ઇસ્માઇલે તેની હત્યા માટેનું કાવતરું ઘડી કાઢ્યું હતો ઇસ્માઇલે મિત્તલ પાસે રૂપિયા પરત કરવા માટે છેલ્લો વાયદો માંગ્યો હતો. જેથી મિત્તલે ઇસ્માઇલ પર ભરોસો કર્યો હતો. પરંતુ ઇસ્માઇલના મનમાં કંઇક અલગ જ ચાલી રહ્યું હતું. ઇસ્માલ ગત તા 22 જાન્યુઆરી 2022ના રોજ સાંજે મિત્તલ પાસે પહોંચ્યો હતો અને તેને બાઇક પર બેસાડી પોર પાસે આવેલ કાશીપુરા-સરાર રોડ પર આવેલ રમણગામડી ગામની સીમમાં ખુલ્લી જગ્યા લઇ ગયો હતો. જ્યાં તેણે મિત્તલને માટીના ઢગલા પર ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ગળું દબાવી દઇ તેની હત્યા કરી નાખી હતી. જ્યાર બાદ મિત્તલની લાશને તેણે માટીના ઢગલામાં દાટી દીધી હતી.

બીજી તરફ 22 જાન્યુઆરીના રાત્રે મોડે સુધી મિત્તલ ઘરે ન મળતા તેના પતિ રાજુભાઇ બાવળિયાએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ આખરે થાકી હારી રાજુભાઇએ વરણામા પોલીસને પત્ની ગુમ થયા અંગેની અરજી આપી હતી. જેથી પોલીસે મિત્તલના ઓળખીતા અને તેની આજુબાજુમાં રહેતા પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઇસ્માલ તેને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જેથી ઇસ્માઇલની પૂછપરછ કરતા શરૂમાં તે કશું જાણતો નથી તેમ કહ્યું હતું. પરંતુ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આખરે તેણે મિત્તલની હત્યા કરી લાશ માટીના ઢગલામાં દાટી દીધાનું કબૂલ્યું હતું.જેથી વરણામા પોલીસ મોડી સાંજે રમણગામડીની સીમમાં જેસીબી મશીન અને માણસોનો સ્ટાફ લઇને ઘટનાસ્થળે પહોંચી હતી અને મિત્તલની લાશને શોધી કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપી ઇસ્માઇલની પણ અટકાયત કરી લીધી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
