Published By : Disha PJB
-શુકલતીર્થ ગામે ₹1.97 કરોડમાં ગંદા પાણીને શુદ્ધ કરી 700 કિલો લીટર પ્રતિ દિન મેળવાતું શુદ્ધ પાણી
- ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવી શકાયું
- રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણનો સફળ પ્રયાસ
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ સીમાચિહ્નરૂપ
- ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હલ થશે
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે માત્ર ₹1.97 કરોડમાં ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાનો પ્રોજેકટ હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સીમાચિહ્નરૂપ બનશે.

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો.ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટેનો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેના થકી આજે ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવવામાં સફળતા મળી છે.

આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે.વર્ષ 2022 માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 700 KLD ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ₹1.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.