શ્રાવણ માસમાં ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ભકતોનું ઘોડાપૂર ઉમટે છે ભક્તો દાદા પ્રત્યે અનેરી શ્રધ્ધા ધરાવે છે માન્યતા છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે.
આ મંદિર પાછળ દંત કથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહી આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મુર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતાં સ્વયંભૂ મુર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા. સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહી આવી મુર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મુર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઇ.સ. 1615 માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટ્લે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં અહી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો પગપાળા અહી આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે. આજે શ્રવણ માસના અંતિમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોચ્યા હતા.