- સુરત શહેરના રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે.
સુરતની તાપી નદીમાં ચારે તરફ લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. અહીંથી પસાર થતા સ્થાનિકો અને આસપાસમાં રહેતા લોકોના મતે પહેલીવાર આટલી દુર્ગંધ આવે છે. સ્થાનિકોને આશંકા છે કે અહીં કોઈ કેમિકલ ભેળવી ગયું છે. આ કેમિકલયુક્ત પાણી અને કચરાના કારણે આસપાસમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા છે. આસપાસમાં રહેતા લોકો લાંબા સમયથી ગંદા પાણી અને માથુ ફાટી નાંખે તેવી વાસથી પરેશાન છે. પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને તો જાણે પ્રજાની સમસ્યાની કાંઈ પડી જ નથી. આ કોઝ-વેમાં તંત્રએ તાત્કાલિક સફાઈ કરાવીને લોકોની સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ.
તાપી નદીના પાણી નો કલર બદલાયો !
તો આ તરફ તાપી નદીના બ્યુટીફીકેશનના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. તો રેલિંગ ન હોવાથી અહીં વોક કરવા માટે આવતા લોકોની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા.




