Published by : Rana Kajal
પાવાગઢના માંચીમાં ચાચરચોક ખાતે બનેલા પથ્થરના વરસાદી આશ્રય સ્થાનોનો કેટલોક ભાગ તેમના પર પડતાં આઠ યાત્રાળુઓને ઇજા પહોંચી હતી. જે પૈકી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં 3 મહિલાઓ, 3 પુરૂષો અને બે બાળકો ઘાયલ થયા હતા.
પાવાગઢના માંચી ખાતે યાત્રિકોની સુવિધા માટે ચાચરચોકના કિનારે કોંક્રીટના સ્લેબ મુકીને કલાત્મક વરસાદી આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું હતું. આજે બપોરે અહીં વાવાઝોડાના કારણે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આ રેઈન શેલ્ટર નીચે આશરો લઈ રહ્યા હતા. તે સમયે, પથ્થરનું માળખું અચાનક તૂટી પડતાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને એકનું મૃત્યુ થયું હતું. ભારે કોંક્રિટ સ્લેબ નીચે દટાયેલા ત્રણ પુરૂષો, ત્રણ મહિલાઓ અને બે બાળકો પૈકી એક મહિલાને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અન્ય એક મહિલાને પણ પેટ પર પથ્થર પડતા ઈજા થઈ હતી. જ્યારે બંને યુવકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નજીકના અન્ય યાત્રિકોએ ભારે પથ્થરો ઉપાડીને યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તોને ખાનગી વાહનો મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયા હતા. એક મહિલા અને એક પુરુષ સિવાય, એક જ પરિવારના તમામ સભ્યો અકસ્માતમાં સામેલ હતા. જ્યારે એક મહિલા અને એક પુરૂષ માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી પાંચ વ્યક્તિઓને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
