Published By : Patel Shital
દિવસે દિવસે તામિલનાડુમાં બિહારીઓની સંખ્યા વધતા સ્થાનિકોને બેકારીનો ભય…
કાપડ ઉદ્યોગ, હોટલ ઉદ્યોગ અને ખાનગી કંપનીઓમાં બિહારીઓની સંખ્યા તામિલનાડુમાં સતત વધારો
બિહાર રાજયના શ્રમજીવીઓ અને કામદારો દિલ્હી, મુંબઇ અને પંજાબના વિસ્તારોમાં કમકાજની શોધમાં જતા હોય છે. ભાષા તેમજ આબોહવાની સમસ્યાના કારણે બિહારના શ્રમજીવીઓ તમિલનાડુ જેવા રાજ્યોમાં સામાન્ય રીતે કામકાજ અર્થે જતા નથી. પરંતું હાલના સમયમાં બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના શ્રમજીવીઓ મોટી સંખ્યામાં કામ અર્થે તમિલનાડુ પણ જઈ રહ્યા છે તેવામાં તમિલનાડુમાં બિહારી શ્રમજીવીઓ પર હુમલા કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે જો કે તમિલનાડુ અને બિહાર રાજ્યોની પોલીસ હુમલાઓની ઘટનાઓને અફવા હોવાનું જણાવી રહી છે. તો સાચી હકીકત શું છે…? તમિલનાડુમાં બિહારી શ્રમજીવીઓ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવા તમામ વિડિયોને તમિલનાડુ પોલીસ બોગસ અને ભ્રામક કહી રહી છે તો સાથે બિહાર પોલીસની આર્થિક ગુન્હાઓ અંગેની તપાસ કરતી પોલીસે આવા હૂમલા કે મારપીટના બનાવોના વિડિયો વાયરલ કરનારા સામે પણ ગુન્હા દાખલ કર્યા છે. અને એક વ્યક્તિની અટક પણ કરી છે. તમિલનાડુના કાપડ ઉદ્યોગ માટે જાણીતા એવાં તિરૂપતિ જિલ્લામાંથી બિહારી મજૂરોને મારવામાં આવ્યા હોવાની સૌથી વધુ ફરિયાદો ઉભી થઈ છે તિરૂપુર અને કોઇમ્બતુર જિલ્લા ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે જાણીતા છે જ્યાં બિહારી શ્રમજીવીઓની સંખ્યા વધુ છે. આવી મારપીટની ઘટનાઓના કારણે એવી ચર્ચા પણ થઈ રહી છે કે બિહારી લોકોના લીધે તામિલનાડુના સ્થાનિક શ્રમજીવીઓની રોજી-રોટી છીનવાઈ જતી હોય તેના કારણે તો આવા બનાવો નથી બની રહ્યાં…?
ચેન્નઈ ખાતે આશરે 50 વર્ષથી રહેતા બિહાર એસોસિયેશનના સચિવ મુકેશ કુમાર ઠાકુરના જણાવ્યાં મુજબ પહેલા ખૂબ ઓછા બિહારી શ્રમજીવીઓ તમિલનાડુમાં કામ કરતા હતા. પરંતુ હમણાં આ સંખ્યા વધી ગઈ છે. કોરોના મહામારીના સમયે બિહારી શ્રમજીવીઓની સંખ્યા તમિલનાડુમાં 4 લાખ કરતા વધુ હતી. હાલમા આ સંખ્યા ખૂબ વધી ગઈ છે એમ પણ મુકેશ કુમાર ઠાકુરે જણાવ્યું હતું. જ્યારે સ્થાનિક કંપનીઓનાં માલિકોના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં સ્થાનિક શ્રમજીવીઓ મળતા નથી તેથી બિહારીઓને કામ આપવામાં આવે છે તેઓ કામ વધુ કરે છે. મહેનતાણું ઓછું લે છે અને રજા લેતા નથી.