ગુજરાત સરકાર દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. સદરહું નર્મદામૈયા ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના—મોટા અકસ્માતોમાં ખુબ જ વધારો થવા પામ્યો છે.
ભરૂચ જીલ્લાના સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા સદર બાબતે ફરીયાદ કરી રહયા છે. નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વૈપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફ્થી અવર-જવર કરતાં ભારે વાહનો લકઝરી બસો,ટ્રકો જેવા મોટા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદા મૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી, આ ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે.
જેથી, નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર–જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા મૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતા હોય આમુખ–(૧) જાહેરનામાથી દિન-૩૦ માટે તા.૦૬/૧૧/૨૦૨૨ સુધી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ, જેની મુદ્દત વધારવી જરૂરી જણાતી હોય, નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ તુષાર.ડી.સુમેરાએ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૦૬/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક થી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી દિન-૩૦ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવાં કે ખાનગી બસ તથા એસ.ટી બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર કાર સિવાયના તમામા વાહનો) ની અવર-જવર પર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવેલ છે.
વધુમાં, સદરહું જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવાં કે એમબ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનોને મુકિત આપવામાં આવે છે.
આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.