Published By : Parul Patel
વંદે ભારત ટ્રેન વારંવાર પશુ સાથે અથડાવા બાબતે કે ટ્રેન પર થયેલા પથ્થર મારાના બનાવો, વધુ ભાડા અંગે વિવાદીત બની છે, ત્યારે હવે આ ટ્રેનના મુસાફરના ભોજનમાંથી નીકળેલ વંદાના પગલે વિવાદ ઉભો થયો છે.
વંદે ભારત ટ્રેન હવે ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. હાલમા ભોપાલથી દિલ્હી વચ્ચે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20171 સાથે જોડાયેલો અવિવાદીત બનાવ છે. ટ્રેન સી-8 કોચની સીટ નંબર 57 પર ભોપાલથી ગ્વાલિયર સુધી મુસાફરી કરી રહેલા એક યુવકે ભોજન મંગાવ્યું હતું. તેણે ભોજન શરૂ જ કર્યું હતું ત્યાં જ પરાઠામાં વંદો જોઈને તે ચકિત થઈ ગયો. તેણે તરત જ આ અંગે ફરિયાદ કરી હતી.
યુવકે ટ્વિટ કરતાં લખ્યું, ‘વંદે ભારત ટ્રેનમાં મારા ભોજનમાંથી વંદો નીકળ્યો છે.’ આ સાથે જ તેણે આઈઆરસીટીસી (IRCTC) ને પણ ટેગ કર્યું હતું. આઈઆરસીટીસીના ધ્યાને આ વાત આવતાં તેમણે તરત જ પગલા લીધા હતા. ગાડીમાં રહેલા હાજર આઈઆરસીટીસીના કર્મચારીએ મુસાફરને ભોજન બદલી આપ્યું હતું. અધિકારીએ ભરેલા પગલાથી યાત્રી સંતુષ્ટ હોય તેવું લાગ્યું હતું. 24 જુલાઈ 2023ના રોજ બનેલી આ ઘટના પર આઈઆરસીટીસીએ ત્વરિત પ્રતિક્રિયા પણ આપી હતી. ટ્વિટર પર તેમણે લખ્યું, ‘આ ખરાબ અનુભવ બદલ અમે ક્ષમાપ્રાર્થી છીએ. આવી ઘટના ભવિષ્યમાં ના બને તે માટે યોગ્ય પગલા લેવાશે તેવી ખાતરી આપીએ છીએ. તમારો પીએનઆર (PNR) નંબર અને મોબાઈલ નંબર ડાયરેક્ટ મેસેજ થકી અમને મોકલવા વિનંતી કરીએ છીએ.’
આ ઘટનામાં આઈઆરસીટીસીએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા લાયસન્સ ધારક સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. ભોજન પૂરૂં પાડનારા રસોઈયાને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ભોપાલના જે રસોડામાં ભોજન તૈયાર થયું હતું. તેને સાવધાની રાખવાની અને જંતુનાશકોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રસોડામાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.