Published by : Anu Shukla
- બાળમેળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા
- 90 બાલવાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટીથી અભ્યાસના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
- તારીખ 26મી સાંજે બાળમેળાની પૂર્વ તૈયારી રૂપે સાંજે સયાજી રેલી યોજાઈ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ આજથી ત્રણ દિવસ સુધી કમાટીબાગ, શિવાજી પ્રતિમા ગાર્ડન ખાતે શરૂ થયો છે. આજે સવારે બાળમેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો ત્યારે આ બાળમેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાળમેળાનું ઉદ્ઘાટન કરાયું હતું.
બાળમેળાની પૂર્વ તૈયારીરૂપે અને નગરજનોને બાળમેળો નિહાળવા આમંત્રિત કરવા તારીખ 26મીની સાંજે સયાજી રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો જોડાયા હતા. આ રેલી કાલાઘોડા ખાતે સમાપ્ત થઈ હતી. બાળમેળામાં શિક્ષણ સમિતિની 90 બાલવાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટીથી અભ્યાસ કરતા પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું. આ માટે તેમણે બાળકોને કીટ એનાયત કરી હતી.
બાળમેળામાં 40 પ્રોજેક્ટ રજૂ થયા છે અને 120 સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે. આ વખતે બાળ મેળાનું આયોજન જી20 ના વસુદેવ કુટુંબકમ થીમ આધારિત કરાયું છે. જેને આવકારતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે આપણો દેશ સંસ્કૃતિ, ધર્મ, જાતિ, ભાષા, ખાનપાન, પહેરવેશ વગેરેમાં વિવિધતા વચ્ચે એકતાવાળો છે. છતાં વિવિધતા સ્વીકારીને વસુદેવ કુટુંબકમની ભાવના રાખીએ છીએ તેની ઉજવણી કરીએ છીએ. સયાજી કાર્નિવલ સંસ્કૃતિ, કળા વગેરેને પ્રદર્શિત કરતો મંચ છે. જી20ના 200 કાર્યક્રમ દેશભરમાં થવાના છે, જેમાંથી 15 ગુજરાતમાં યોજવાના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીઓ પર ખૂબ ધ્યાન આપે છે અને દરકાર રાખીને કામ કરે છે.