Published by : Vanshika Gor
વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. પત્રમાં વિપક્ષે CBI અને ED જેવી એજન્સીઓનો દુરુપયોગ કરવા બદલ ભાજપની ટીકા કરી છે. પત્રમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પર પણ નિશાન સાધવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભાજપમાં જોડાનારા વિપક્ષના નેતાઓ સામેની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે.
પત્રમાં રાજ્યપાલ કાર્યાલય પર ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારોના કામમાં દખલ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધતા અણબનાવનું કારણ બની રહ્યા છે. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે, કેન્દ્રીય એજન્સીઓની છબી ખરડાઈ રહી છે. આ સાથે તેમણે આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 26 ફેબ્રુઆરીએ લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરતી વખતે તેની સામે કોઈ પુરાવા દર્શાવવામાં આવ્યા ન હતા. 2014થી જે નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાંના મોટાભાગના વિપક્ષના છે.
આ 9 નેતાઓએ સંયુક્ત પત્ર લખ્યો હતો
- બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જી
- દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ
- પંજાબના મુખ્યમંત્રી અને AAP નેતા ભગવંત માન
- તેલંગાણાના મુખ્યમંત્રી અને BRSના વડા કે ચંદ્રશેખર રાવ
- યુપીના પૂર્વ સીએમ અને એસપી ચીફ અખિલેશ યાદવ
- બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ
- NCP ચીફ શરદ પવાર
- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
- જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ AAP નેતા મનીષ સિસોદિયાની CBI દ્વારા દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને પૂછપરછ માટે 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યા. રિમાન્ડ પૂરા થતાં તેમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને ફરીથી 2 દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.