Published By : Patel Shital
- ઈરાનમાં પુરતા પ્રમાણમાં પાણી નથી તેમ છતં કનાત, એરકન્ડિશન, બરફ અને ચહારબાગ સુધીનું વોટર મેનેજમેન્ટ….
પાણીની અછતનું નિવારણ લાવનારી ઈરાનની એ પ્રાચીન કારીગરી અંગે અને વોટર મેનેજમેન્ટ માટે આજે દુનિયા ઈરાનની ઋણી છે. ઇરાનમાં વોટર મેનેજમેન્ટ કનાત, એરકન્ડિશન, બરફ અને ચાહારબાગ સુઘી પહોચી ગયું. ઈરાન થી ભારતના પ્રસિધ્ધ બાગો સુઘીની કહાણી…
પ્રાચીન ઈરાન પારસી ધર્મના સમયગાળા અને એ પહેલાંના સમયથી ઈરાને માનવીય સંસ્કૃતિના વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. એક સમય એવો હતો કે ઈરાનના રાજાઓનું શાસન યૂનાનથી હિંદુસ્તાન સુધી ફેલાયેલું હતું. આમ તો ઈરાનને પ્રકૃતિનું વરદાન પ્રાપ્ત છે. તેમ છતાં ઈરાનમાં એક ઊણપ રહી ગઈ છે. ઈરાનમાં ખળખળ વહેતી નદીઓ અને ઝરણાં નથી. તેમ છતાં જમીનની નીચે પુષ્કળ પાણી છે પ્રાચીન સમયમાં ઈરાનમાં વિજ્ઞાને એટલી પ્રગતિ કરી હતી કે પાણીની મુશ્કેલીનું સમાધાન એન્જિનિયરિંગની મદદ વડે શોધી કાઢ્યું હતું. ઈરાનમાં ઘણા પહાડ છે અને એની તળેટીઓમાં મોટા પ્રમાણમાં ભૂગર્ભજળ સંગ્રહાયેલું છે. આશરે ત્રણેક હજાર વર્ષ પહેલાં ઈરાનીઓએ ભૂગર્ભજળને દૂરદૂર સુધી પહોંચાડવાનો માર્ગ શોધ્યો હતો. જમીનમાંથી પાણી કાઢવાની ઈરાની ટેકનિકનો પ્રયોગ ઈરાનના શહેર ઇસ્ફાનથી માંડીને યાઝદ અને બીજા વિસ્તારોમાં પણ જોવા મળે છે. પાણી પહોંચાડવાના આ ઉમદા એન્જિનિયરિંગને ફારસી ભાષામા ‘કારિઝ’ કહેવાય છે. જો કે એનું અરબી નામ ‘કનાત’ વધારે જાણીતું છે. જો કે પહાડોની તળેટીમાંથી પાણી કાઢી એને દૂર-દૂર સુધી પહોંચાડવાની પદ્ધતિ આજે પણ ચલણમાં છે. અને તેથી જ 2016 થી યૂનેસ્કોએ આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરી લીધી છે.
સૂકા ઇરાનમાં પાણીની અછત કેવી રીતે દૂર કરવામાં આવી તેની વિગત જોતા પર્વતોમાં કનાત બનાવવા માટે સૌ પહેલાં કાંપવાળી જમીન પસંદ કરવામાં આવતી હતી. જ્યાં એક મોટો ખાડો ખોદી ભૂગર્ભજળ મેળવવામાં આવતું હતું. આમ તો ઉપરથી જોતા આ ખાડા એવા જ દેખાય છે જાણે ભીની માટીમાં કીડીઓએ દર બનાવ્યાં હોય. પરંતું અંદર પાઇપોની જાળ પથરાયેલી છે. તેમજ હવાની અવરજવર માટે આવા ખાડા બનાવવામાં આવતા. જેથી અંદર કામ કરતા મજૂરોને તાજી હવા મળી રહેતી. ક્યાંક થોડું ખોદકામ કરતા જ પાણી મળી રહેતું હોય છે જ્યારે ક્યાંક કેટલાય મીટર સુધી ખોદકામ કરવું પડતું હોય છે. કનાતની અંદર એવી રીતે ઢાળ તૈયાર કરવામાં આવતો કે સરળતાથી અને ઝડપથી પાણી વહી શકે. કનાતની સંરચના સંકુલ હોવા છતાં ઈરાન સૈકાઓ સુધી પોતાના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડી શક્યું. એ તેની સફળતા કહી શકાય.
ઈ.સ. પૂર્વે 550થી 330 વર્ષ પહેલાં અહીં એકેમેનિડ વંશના રાજાઓએ ‘પર્સિપોલિસ’ નામનું શહેર વસાવ્યું હતું. એ શહેર ‘ઝારગોસ’ પર્વતોની ખીણમાં વસ્યું હતું. એ વખતે અહીંનાં મેદાનો સૂકાં હતાં અને હવા ગરમ હતી. રણ વિસ્તારોની માફક અહીંના લોકોને પણ પાણીની અછત ભોગવવી પડતી હતી. જો કે કનાત જેવી ટેકનિકને કારણે પર્સિપોલિસ એકેમેનિડ વંશના રાજાઓની સત્તાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું હતું. આ રાજાઓએ અહીંથી જ પોતાનું સામ્રાજ્ય યૂનાનથી માંડી હિંદુસ્તાન સુધી વિસ્તાર્યું હતું. સમય જતાં પાણી પુરવઠાની આ કનાતની પદ્ધતિ દુનિયાભરમાં ફેલાઈ. જે અંગે બે પરિબળો કારણભૂત હતાં, એક ઈરાનના બાદશાહો અને બીજું અહીં આવતા પ્રવાસીઓ. ઇરાનમાં જે પણ આવ્યા તેમણે પરત ફરીને પોતાના પ્રદેશમાં આ ઈરાની પદ્ધતિનો અમલ કર્યો. કનાત પદ્ધતિ વડે પીવાનું પાણી તો મળતું જ હતું પણ આ પ્રણાલી ઍરકંડિશનિંગનું કામ પણ કરતી હતી. કનાતમાં શાફ્ટ દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાંથી ગરમ હવા જમીનની અંદર જાય છે અને પાણીના સંપર્કમાં આવતા ઠરી જાય છે. યાઝદનાં જૂનાં ઘરોમાં આજે પણ ઍરકંડિશનિંગની આ પ્રથા ચલણમાં છે. કનાતનો બીજો પણ એક ઉપયોગ કરાતો હતો. ઠંડી દીવાલો વચ્ચે પાણી જામી જતું અને બરફમાં ફેરવાઈ જતું. આવી રીતે બરફ જમાવવાનાં ભોંયરાંને ‘યખચાલ’ કહેવામાં આવતાં. યખચાલ’ ફારસી શબ્દ છે એનો અર્થ થાય છે ‘બરફના ખાડા’. ઈ.સ. પૂર્વે 400માં એટલે કે લગભગ અઢી હજાર વર્ષ પહેલાં બરફ જમાવવાની આ રીત વિકસાવવામાં આવી હતી.
‘યખચાલ’માં જામતો બરફ આસપાસનું તાપમાન સંતુલિત રાખતો હતો. કનાતને કારણે અહીં બનેલાં ઉપવનોનો સમાવેશ યુનેસ્કોની યાદીમાં પણ કરવામાં આવ્યો છે. આ બગીચાઓમાં લીલાછમ ઘાસની ચાદરો છવાયેલી રહે છે, જેને ‘ચહારબાગ’ કહેવામાં આવે છે. દિલ્હીના મુગલ ગાર્ડન, રાષ્ટ્રપતિ ભવન ચહારબાગ પરથી પ્રેરણા લેવામાં આવી હોય એમ કેટલાક માની રહ્યા છે. મુગલ બાદશાહોએ કશ્મીરથી માંડી દિલ્હી અને લાહોર સુધી બાગ બનાવડાવ્યા હતા. આપણા રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન પણ ફારસની ચહારબાગ પરંપરાથી પ્રેરિત છે.
તાજમહાલની આસપાસના ગાર્ડન, લાહોર અને કશ્મીરના મુગલ ગાર્ડન પણ ભારત પર ફારસી સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે….