હાલમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ 33 જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણનો આરંભ ગત રોજ બુધવારે કરવામાં આવ્યો હતો. એક સાથે રાજયના તમામ જિલ્લા કોર્ટમાં જીવંત પ્રસારણ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હાઇકોર્ટના પાયલોટ પ્રોજેકટ માનવામા આવતા જીવંત પ્રસારણનુ ઉદ્દઘાટન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહે કર્યુ હતુ. જ્યારે જયુડિશિયલ ઓફિસર પોર્ટલનુ ઉદ્દઘાટન જસ્ટિસ જે બી પારડીવાલાએ કર્યુ હતું.આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે એમ પણ જણાવ્યું હતું કે 1.72 લાખ કરતા વધુ લોકો હાઇકોર્ટનુ જીવંત પ્રસારણ જોઇ રહ્યાં છે. સાથેજ તેમણે જીવંત પ્રસારણના ફાયદા પણ જણાવ્યા હતા. હાઇકોર્ટના જીવંત પ્રસારણ સાથે જિલ્લાની અદાલતોને પણ જોડી દેવામાં આવી હતી. આમ અદાલતી કાર્યવાહીનુ નિરીક્ષણ સામાન્ય લોકો પણ કરી શકશે તેથી લોકોને અદાલતના ધક્કા ઓછા થઈ જશે.