Published By : Disha PJB
સુરતમાં 6 વર્ષની દીકરીને પિતાએ સુવડાવી ઝાડ ઉપર ફાસો ખાઈ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ સારોલી વનવાળી જંકશન પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં એક વ્યક્તિની લટકતી લાશ જોવા મળી હતી. આ જોઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જોકે ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.આર.પટેલે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે બની હોય એવું કહી શકાય છે. મૃતક ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ જેઓ 40 વર્ષના હતા અને મહત્વની વાત એ છે કે તેમની સાથે તેમની 6 વર્ષની દીકરી નેન્સી પણ હતી. પરંતુ તેમના પિતાએ આપઘાત પહેલા તેને સુવડાવી હતી અને ત્યારબાદ તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતક અને તેમની દીકરી શનિવારે ભાવનગરથી સુરત આવી પહોંચ્યા હતા અને તેઓ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયો હતા. ત્યારબાદ રાત્રી દરમિયાન નેન્સી ઊંઘી જતા તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું.

વધુમાં જણાવ્યું કે, કોરોનામાં નેન્સીની માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું. નેન્સી માતા- પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતા આ દીકરી તદ્દન એકલી પડી ગઈ છે તેની હાલ અમારા પોલીસ સ્ટેશન દ્વારા સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ઘટના સ્થળ ઉપર પિતાના મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી. મૃતક ધમેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે તપાસ કરાતા ત્યાં કોઈ મળ્યું નથી. પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા ભાવનગરના બ્રાહ્મણ પરિવારની માહિતી મળી છે. જેનો પોલીસે સંપર્ક કર્યો છે અને તેઓ સુરત આવવા નીકળ્યાં છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત.