- મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે સમગ્ર યોજના પર નજર રાખશે
કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનના મહાકાલ મંદિરની તર્જ પર હરિદ્વારમાં હર કી પૌડીમાં પણ એક કોરિડોર બનાવવામાં આવશે. હરિદ્વાર-રુડકી ડેવલપમેન્ટ ઓથોરિટીની બોર્ડ મિટિંગમાં આ પ્રસ્તાવ પાસ કર્યા બાદ અધિકારીઓએ આ માટે કવાયત પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે સમગ્ર યોજના પર નજર રાખશે.
હરિદ્વાર-રુડકી ડેવલપમેન્ટ ઓથોરિટીની બોર્ડ બેઠકમાં 17 પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. સૌથી મહત્વપૂર્ણ વિષય હરિદ્વાર હર કી પૌડી કોરિડોર બનાવવાનો રહ્યો હતો. હરિદ્વાર રુડકી ડેવલપમેન્ટ ઓથોરિટીને અનુમતિ આપવામાં આવી છે કે, કોરિડોર બનાવવાની સમગ્ર યોજના બનાવવામાં આવે જેથી હરિદ્વાર આવનારા યાત્રિઓને સારી સુવિધા મળી શકે. હરિદ્વાર કરિડોર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ રહેશે.
ઓથોરિટીના વાઈસ પ્રેસિડેન્ટ વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં એક કન્સલ્ટન્ટ ફર્મની નિમણૂક કરવામાં આવશે. આ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે. માત્ર સંત સમાજ જ નહીં પરંતુ હરિદ્વારના સ્થાનિક લોકો પણ હર કી પૌડી કોરિડોર વિકસાવવાની યોજનાને લઈને ઉત્સાહિત છે. લોકો કહે છે કે, હર કી પૌડી વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે. તેના કાર્યક્ષેત્રને વિસ્તારવા અને તેને સુંદર બનાવવાથી વધુ ભક્તો અહીં પહોંચશે અને હર કી પૌડીનું મહત્વ વધુ વધશે. સાથે જ નવા રોજગારનું પણ સર્જન થશે.
તાજેતરમાં જ મ્યુનિસિપલ કાઉન્સિલના માધ્યમથી ‘ઓન માય ઘાટ’ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય બિન-લાભકારી સંસ્થાઓને હરિદ્વારના ગંગા ઘાટને દત્તક લેવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ હરિદ્વારના ઘાટને દત્તક લઈ શકે છે. આ માટે તેઓ કોર્પોરેશન ઓફિસનો સંપર્ક કરી શકે છે. આમ કરવાથી દત્તક લીધેલા ઘાટોની જાળવણી અને ઘાટોની સફાઈ નિયમિતપણે થતી રહેશે. વાસ્તવમાં હરિદ્વારના ગંગા ઘાટને બહેતર અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકાએ ‘ઓન માય ઘાટ’ યોજના શરૂ કરી છે.