નર્મદા જિલ્લાના પોઇચા ખાતે આવેલા નીલકંઠધામમાં ‘પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે’ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બોલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયની સેવા, પૂજાના નામે દંભ આચરતા લોકો પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજ્યપાલે જણાવ્યું હતું કે લોકો ગાયનો જયજયકાર તો ઘણો કરે છે, પણ ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે એને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. આક્રોશસભેર રાજ્યપાલે કહ્યું હતું કે એટલે જ હું કહું છું કે હિન્દુ સમાજ ઢોંગી નંબર વન છે. હિન્દુ સમાજ અને ગૌમાતા એકમેક સાથે સંકળાયેલાં છે, પણ લોકો સ્વાર્થ ખાતર ગાયની જય બોલાવે છે.
લોકો મંદિરોમાં જાય છે, મસ્જિદોમાં જાય છે, ગુરુદ્વારામાં જાય છે, ચર્ચમાં જાય છે પૂજા માટે, જેથી ભગવાન ખુશ થાય, પણ હું એ ઘોષણા કરું છું કે ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરશો તો ભગવાન આપમેળે જ ખુશ થઈ જશે. હું પ્રમાણ સાથે આ વાત કહું છું. રાસાયણિક ખેતીથી તમે પ્રાણીઓને મારવાનું કામ કરો છો. પ્રાકૃતિક ખેતી કરશો તો પ્રાણીઓને જીવન આપવાનું કામ કરો છો.
મનુષ્ય જેટલા પાખંડી, ઢોંગી બીજું કોઈ પ્રાણી નથી…તમે ગાય માતાની જય તો બોલો છો, તિલક પણ કરો છો, પણ બિચારી દૂધ આપે નહીં તો ઘરમાંથી કાઢી મૂકો છો અને કહો છો ગૌમાતાની જય. નથી દૂધ પીતા, નથી ગાયને પાળતા પણ ગાય માતાની જય બોલે છે, એટલે જ હું કહું છું કે હિન્દુ સમાજ ઢોંગી નંબર વન છે. ગૌમાતાને સમજો, જાણો એ ખરા અર્થમાં ગાય માતા છે. ભગવાને ગૌમાતાના શરીરમાં સૂક્ષ્મ જીવાણુની ફેકટરી લગાવીને આપી છે અને આપણે શું કરીએ છીએ કે એનું ધ્યાન કરો.
(ઈનપુટ : દિપક પટેલ, નર્મદા)