Published by : Vanshika Gor
- અંકલેશ્વરથી 6 બકરાં ચોરી ટોળકી ક્રેટામાં હાંસોટ બાદ વાલિયા અને અંતે ઝઘડિયા તાલુકામાંથી પકડાયા
- LCB એ સારસા-રાજપારડી રસ્તો બ્લોક કરાવી બકરાં ચોર ટોળકીને ઝડપી
અંકલેશ્વરને જાણે બકરાં ચોરોએ ગઢ બનાવી લીધો હોય તેમ તાજેતરમાં વટવાની ટોળકી ઝડપાયા બાદ હવે નડિયાદની ક્રેટા કાર લઈ 6 બકરાં ચોરી જતી ટોળકીના 4 સાગરીતોને LCB એ 100 કિમી સુધી પીછો કરી પકડી પાડ્યા છે.અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી બકરાં ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો. હાલમાં જ શહેર એ ડિવિઝન પોલીસે વટવાથી બ્રિજા કાર લઈ અંકલેશ્વર બકરાં ચોરી કરવા આવતા બે આરોપીને પકડી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર હજી વોન્ટેડ છે.
દરમિયાન ભરૂચ LCB પી.આઈ. ઉત્સવ બારોટે કાર લઈ પશુ ચોરી કરવા આવતી ટોળકીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ કારની ગતિવિધિઓ ઉપર વોચ શરૂ કરાઇ હતી.LCB પીએસઆઈ જે.એન.ભરવાડ અને પી.એમ.વાળા અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સફેદ રંગની ક્રેટા કાર GJ 07 DA 9896 માં બકરાં ચોરી કરી બોરભાઠા ગામ તરફ ભાગતાં હોવાની માહિતી મળી હતી. એલસીબીની ત્રણ ટીમોએ સફેદ ક્રેટાનો પીછો કરતા બકરાં ચોર કાર અંકલેશ્વર તાલુકમાંથી હાંસોટ, વાલિયા થઈ ઝઘડિયા તાલુકાના ગામો તરફ હંકારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આખરે સારસા-રાજપારડી સિંગલ પટ્ટીના માર્ગ ઉપર ક્રેટા કારને ઘેરવા રાજપારડી PSI જી.આઈ.રાઠવાનો સંપર્ક કરી રસ્તો જામ કરી ટોળકીની કારને ઘેરી લેવાઇ હતી. આરોપીઓએ પોલીસના કહેવા છતાં કારનો કાચ નહિ ખોલતા પોલીસે કાચ તોડ્યો હતો.અંદરથી 4 આરોપી 6 બકરાં સાથે ઝડપાઇ ગયા હતા. એલસીબીએ કાર, બકરાં, 3 મોબાઇલ મળી કુલ 8.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા નડિયાદના આરોપી હસમુખ સુરેશ જાની, કિશોર મનું દેવીપૂજક, ઠાકોર રવજી તળપદા અને ભાવેશ મફત દસ્વીપૂજક માલિક પરસોત્તમ તળપદાના કહેવાથી બકરાં ચોરી કરતા હતા.
છેલ્લા અઢી મહિનામાં અંકલેશ્વરમા 5 વખત આવી 7 સ્થળેથી કારમાં 24 બકરાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ આરોપીએ અંકલેશ્વર ઉપરાંત વડોદરા, આણંદ, હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ 8 વખત બકરાં ચોરી કરી હોવાનું એલસીબી સમક્ષ કબુલ્યું છે.