Published By : Disha PJB
સુરતમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે. શહેરના પુણાગામ વિસ્તારમાં અંટાળા પરિવારના એકના એક 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 7 અંગોનું દાન કરી સમાજને નવી દિશા બતાવી છે. બ્રેઈનડેડ બાળકનું હ્રદય, લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન થકી 7 જરૂરિયાત મંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ યોગીચોક પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. તેમના પરિવારમાં એકનો એક જ છોકરો હતોઆરવ અંટાળા ! જેઓ 9 વર્ષના હતા. આરવને ગત 19મી એપ્રિલના રોજ રમતા-રમતા માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી સિમાડા ખાતે આવેલી એઈમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં તેને આઈ.સી.યુ.માં ખસેડવામાં આવ્યો હતો અને આરવનું બ્રેઈન ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અંતે ગતરોજ રાતે ત્યાંના તબીબો દ્વારા આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ જોઈ તબીબોએ પરિવારને અંગદાન વિષે માહિતી પુરી પડી હતી. ત્યારબાદ પરિવારે કઠણ કલેજાએ અંગદાન માટે મંજૂરી આપી હતી. જેથી આજરોજ આરવના 7 અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

આ બાબતે બ્રેઈનડેડ આરવના પિતા નયનભાઈએ જણાવ્યું કે, અંગદાન વિશે અખબારો અને ન્યુઝ ચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારો આરવ આ દુનિયામાં રહ્યો નથી પણ અંગદાન કરવાથી તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? ઈશ્વરે જે આપ્યું હતું તે એક આશીર્વાદ હતો અને આજે મારાં દીકરાના અંગો અન્ય લોકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. અમારા પરિવારનો નાનકડો આરવ મૃત્યુ બાદ પણ અંગદાન થકી માનવતાની મહેંક ફેલાવતો ગયો છે.

આ બાબતે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાલાએ જણાવ્યું કે, આરવ અંટાળાના પરિવારે દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આ અંગદાનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે બે અલગ-અલગ હોસ્પિટલોની ટીમ આજરોજ સિમાડાની એઈમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આવી પહોંચી હતી. હ્રદય, અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ ખાતે મોકલવામાં આવ્યા છે. તેમજ લીવર અને કિડનીને કે.ડી.હોસ્પિટલ અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં વડોદરા અને સુરત શહેર પોલીસ ટ્રાફિકના અધિકારીઓ પોલીસ કર્મચારીઓએ અંગો લઈ જવા બે-બે ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો છે.