Published by : Anu Shukla
- પ્રમુખસ્વામી મહારાજનગરમાં ગુરુવારે અક્ષરધામ દિવસની ઉજવણી કરવામાં આવી
- પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિન્હો રૂપે ગાંધીનગર અને દિલ્હીમાં સ્વામીનારાયણ અક્ષરધામ મહામંદિરની ભેટ આપી
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે અક્ષરધામ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગર અને દિલ્હીમાં તૈયાર કરેલા અદ્વિતિય અક્ષરધામ મંદિર કે જેને હિંદુ સંસ્કૃતિ ઉજાગર કરી તેની વિશેષ યાદને રજુ કરવામાં આવી હતી. સૌ પ્રથમ અક્ષરધામની ભેટ યોગીજી મહારાજના જન્મ શતાબ્દી પ્રસંગે 2 નવેમ્બર 1992ના રોજ ગાંધીનગરને મળી હતી. તે પછી દિલ્હીમાં 100 એકરમાં ફેલાયેલા સ્વામીનારાયણ અક્ષરધામનું 2005માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેનમુન ગણાતું આ અક્ષરધામ મંદિર માત્ર પાંચ વર્ષના ટુંકા સમયગાળામાં તૈયાર કરાયું હતું. દિલ્હી અક્ષરધામ તૈયાર કરવા માટે આઠ હજાર સ્વંયસેવકો અને 30 કરોડ માણસોની કલાકોની મેહનતનું સમર્પણ રહેલું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત અક્ષરધામમાં અત્યાર સુધીમાં 193 દેશોના દશ કરોડથી વધુ દર્શનાર્થીઓ આવ્યા હતા.
અત્યાર સુધીની સિદ્ધીઓની સફર
દિલ્હી અક્ષરધામે અનેક નવા આયામો જોયેલા છે. જેમાં વર્ષ 2007માં બીએપીએસ શતાબ્દી મહોત્સવ પ્રંસગે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દિલ્લીના અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2010માં દિલ્હી ખાતે અક્ષરધામ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજે ‘બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ની સ્થાપના કરી હતી. 2002માં અક્ષરધામ પર આતંકી હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજે દાખવેલા શાંતિ, સ્થિરતા અને સૌહાર્દયુક્ત વલણને સમગ્ર વિશ્વમાં આજે પણ ‘અક્ષરધામ રિસ્પોન્સ’ તરીકે આદરથી જોવાય છે.
જ્યારે વર્ષ 2010માં વિશ્વમાં સૌ પ્રથમવાર આધ્યત્મિકસંદેશ આધારિત આધારિત સર્વ પ્રથમ ‘સત્ – ચિત્ – આનંદ વૉટર શો’ નું ગાંધીનગર અક્ષરધામમાં ઉદ્ઘાટન કરાયું હતું. તો વર્ષ 2011માં દિલ્લી અક્ષરધામને રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા 21મી સદીની સાત અજાયબીઓમાં સ્થાન અપાયું હતું. તે પછી વર્ષ 2014માં દિલ્હી અક્ષરધામમાં કેનોપનિષદના કથાનક દ્વારા સર્વકર્તાહર્તા પરમાત્માની શક્તિનું નિદર્શન કરતા ‘સહજાનંદ વૉટર શો’ નું ઉદ્ઘાટન કરાયું હતું.
વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો
બી.એ.પી.એસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર ન્યૂજર્સી અક્ષરધામની મુખ્ય જવાબદારી સંભાળનાર સંત ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું કે, યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે ‘યમુના કિનારે મંદિર બનાવવું અને પ્રમુખસ્વામી મહારાજે અથાક પુરુષાર્થ કરીને તે સંકલ્પ પૂર્ણ કર્યો છે. અમેરિકાના રોબિન્સવિલમાં અક્ષરધામ નિર્માણનો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો અને 94 વર્ષની વયે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અમેરિકા જઈને મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને અક્ષરધામ મંદિરનું ખાત મુહુર્ત કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરીને સનાતન હિંદુ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો છે.