Published By : Parul Patel
આજ દિન સુધી આપણે એક પ્રશ્નનો ઉકેલ નથી શોધી શક્યા જે નાનપણ થી સાંભળતા આવ્યા છે કે મરઘી પહેલા કે ઈંડુ… ત્યાં આ બીજો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે મરઘી પક્ષી છે કે જાનવર ?
આ પ્રશ્નને લઇ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર ચુકાદો આવવાનો છે. હાલમાં એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજી કરવામાં આવી હતી કે મરઘીને સ્લૉટર હાઉસમાં જ કતલ કરવા જોઇએ, તેમને પોલર્ટી ફાર્મમાં ન કતલના કરવા જોઇએ. સુનાવણી બાદ કોર્ટે દુકાનોમાં મરઘીઓના કતલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટનો આ નિર્ણય આવતા જ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં સ્થાનિક પ્રશાસને નોન-વેજ દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી નોન-વેજ વેચતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં સુરતમાં પણ નોન-વેજનો મોટો ધંધો છે, પરંતુ ત્યાંની કોર્પોરેશને મહાનગર પાલિકા વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી હતી.
ચિકનને પક્ષી તરીકે કે જાનવર કે તરીકે કઈ શ્રેણીમાં રાખવું ?
કોર્ટના આવા ચુકાદાથી રોષે ભરાયેલા પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી. જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કોર્ટની પ્રથમ સુનાવણી સમય દરમિયાન એક પક્ષે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચિકનને કઈ શ્રેણીમાં રાખવામાં આવે, તેને જાનવર માનવું કે પક્ષી. એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા માગ કરી છે કે મરઘીઓની કતલ, કતલખાનામાં જ થવી જોઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરીને આ માંગ ને નકારી કાઢી. તેમનું કહેવું છે કે કતલખાનાને પ્રાણીઓની કતલ કરવાનો અધિકાર મળ્યો છે. મરઘાંના વેપારીઓ અને ચિકન શોપના માલિકોએ કતલખાનામાં મરઘાંનું કટિંગ કરવાની દલીલને અવ્યવહારુ ગણાવી છે. તેમનું કહેવું છે કે દુકાનો બંધ છે, અને આની અસર સીધી રોજગારી પર પડી રહી છે. આ લોકો કેવી રીતે આજીવિકા મેળવશે એ પણ પ્રશ્ન છે.
જોવું રહ્યું કે ગુજરાત હાઇકોર્ટ શું નિર્ણય કરે છે…