Published by : Vanshika Gor
અદાણી-હિંડનબર્ગ વિવાદ સંબંધિત અરજીઓ અને હાલના નિયમનકારી પગલાંને મજબૂત કરવા નિષ્ણાતોની સમિતિ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે 17 ફેબ્રુઆરીએ આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, બેન્ચે નિષ્ણાતોના નામ ધરાવતા સીલબંધ કવરમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા સૂચનોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે દલીલ કરી હતી કે, તે રોકાણકારોની સુરક્ષા માટે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માગે છે.
17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને સત્તાઓ અંગે ન્યાયાધીશોને સૂચનો રજૂ કર્યા હતા. સોલિસિટર જનરલે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ મામલામાં સત્ય બહાર આવે પરંતુ તેની અસર બજાર પર ન થવી જોઈએ. પૂર્વ જજને દેખરેખની જવાબદારી સોંપવા અંગે કોર્ટે નિર્ણય લેવો જોઈએ. આના પર CJIએ કહ્યું હતું કે, તમે જે નામ આપ્યા છે તે અન્ય પક્ષને નહીં આપવામાં આવે તો પારદર્શિતા નહીં રહે. અમે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ, તેથી અમે અમારી તરફથી એક કમિટી બનાવીશું. અમે ઓર્ડર અનામત રાખીએ છીએ.
અદાણી હિંડનબર્ગ કેસમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટીની રચનાના આદેશ આપ્યા છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા રિટાયર જસ્ટિસ એએમ સપ્રે કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે SEBI આ કેસમાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે.