વડોદરા શહેર પોલીસ કાફલામાં ફરજ બજાવતાં 3 હજાર પોલીસ જવાનોનું એક વર્ષ પહેલાં મેડિકલ ચેકઅપ કરવામા આવ્યુ ત્યારે અંદાજે 200 જેટલા જવાનો અનફિટ હોવાનું જણાયું હતું. જે બાદ ફિટનેસ, યોગ એક્સપર્ટ અને ડાયેટિશિયનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ શરૂ કરાતાં એએસઆઇએ 90 દિવસમાં 21 કિલો અને એક મહિલા કોન્સ્ટેબલે 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનરે બંનેનું ‘કોપ ઓફ ધ મન્થ’ તરીકે સન્માન કરી તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું હતું.
અનફિટ જવાનોને જણાવાયું હતું કે, તેઓ ગ્રીન કેટેગરીમાં આવશે તો મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાશે. દરમિયાન એએસઆઇ ભારતીબહેન રેવાભાઇએ 90 દિવસમાં 89.5 કિલો વજનમાંથી 21 કિલો વજન ઘટાડ્યું હતું તો કોન્સ્ટેબલ મોનિકાબહેન શૈલેષભાઇએ 83 કિલો વજનમાંથી 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે તેમનું કોપ ઓફ ધ મન્થ તરીકે સન્માન કર્યું હતું અને તેમની પસંદગીના હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયું હતુ.
એક વર્ષ પહેલાં જે પોલીસ જવાનો રેડ કેટેગરીમાંથી ગ્રીનમાં આવે તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવાની જાહેરાત કરી હતી. ડીસીપીએ જણાવ્યું કે, હાલ 200 પોલીસ જવાનો રેડ કેટેગરીમાં છે અને તે પૈકી એક વર્ષમાં 30 પોલીસ જવાનોએ વજન ઘટાડ્યું છે. હાલ યેલો કેટેગરીમાં જે પોલીસ જવાનો છે તેઓ ગ્રીન કેટેગરીમાં આવે તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)