Published By:-Bhavika Sasiya
- અમદાવાદમા ઉત્પાદિત આર્યુવેદીક સીરપ કે જેમાં નશો કરે તેવા પદાર્થોનુ ભેળસેળ કરવામાં આવ્યું હતું તેને સમગ્ર ગુજરાતમાં વેચાણ કરવા અંગેનું નેટવર્ક ઝડપાયું છે…

સૌરાષ્ટ્ર ના ખંભાળિયા શહેરમાંથી બાર દિવસ પૂર્વે પકડાયેલી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાને શંકા સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ પ્રકરણમાં અમદાવાદમાં એક શખ્સ દ્વારા ચાંગોદરમાં ઊભી કરવામાં આવેલી ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું ઉત્પાદન તથા વેચાણ થતું હોવા અંગેના સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકાયો છે. આ સમગ્ર પ્રકરણની દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલા બંધ વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ગત તારીખ 26 જુલાઈના રોજ રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલા આઈસર ટ્રકમાં પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત “કાલ મેઘસવા” નામની સીરપની 4,000 બોટલ મળી આવી હતી. તે અંગે પોલીસને શંકા જણાતા રૂ. 5.96 લાખની સીરપ તથા ત્રણ લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 8.96 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.તપાસ મા જણાયું કે સુનિયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજ કરી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં અનધિકૃત રીતે આલ્કોહોલયુક્ત પીણાનું વેચાણ કરવા સબબ આઈ.પી.સી. કલમ 120 (બી), પ્રોહી. એક્ટ વિગેરે મુજબ ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં તપાસની અધિકારી દ્વારા આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતા ભરત ચનાભાઈ નકુમ નામના યુવાનની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે અંગે વધુ તપાસ કરતા આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક પીણું તૈયાર કરવા માટે તેના દ્વારા ઇથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર (ફ્રુટ બિયર)ને પાણીમાં ભેળવીને તે તૈયાર કરતો હોવાનું અને તેના દ્વારા આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક દવા સ્થાનિક મશીનરી મારફતે બોટલિંગ કરી તેનું સૌરાષ્ટ્ર કચ્છ, અમદાવાદ સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રકારના બિલો બનાવી અને માર્કેટિંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાનું જાહેર થયું છે.