- વંદે ભારત ટ્રેનના આગળના ભાગને નુકશાન પહોંચ્યું
- ૧૦ મિનિટના વિલંબ બાદ ટ્રેનને પૂર્વવત શરૂ કરાઈ
અમદાવાદના મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક ઉપર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે બે ભેંસ અથડાઈ હતી. જેના પગલે ટ્રેનના આગળના ભાગે વ્યાપક નુકસાન થયું હતું.
ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની શરૂઆત એક અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરે ૧૧ કલાકે અમદાવાદમાં મણિનગર-વટવા વચ્ચેના ટ્રેક પર ટ્રેનને નાનકડો અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર અચાનક 2 ભેંસો આવી જવાના પગલે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે મુસાફરોના જીવ ટાળવે ચોંટયા હતા. આ અકસ્માતમાં ટ્રેનને આગળના ભાગે નુકશાન પહોંચ્યું હતું. પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નોંધાઈ ન હતી. ટ્રેન ૧૦ મિનિટ સુધી થંભાવી દેવામાં આવી હતી. જો કે બાદમાં રાબેતા મુજબ સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેકનિકથી વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવી હતી. આ ટેકનિકની મદદથી બે ટ્રેનના અકસ્માતને અટકાવી શકાય છે. આ ટેકનિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.