અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેરની હોસ્પમાં આગ લાગી છે. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હોસ્પિટલમાં બેના મોત થયા છે.
મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી ( ઉ.વ 25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું ગૂંગળામણથી મોત થયું છે.
નારણપુરા વિસ્તારમાં જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે, આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા.