- પહેલા નગરપાલિકા સામે ધરણાં કર્યા છતાં કોઈએ ન સાંભળ્યુ…
- ધરણાં પ્રદર્શન બાદ રેલી કાઢી પણ ન્યાય ન મળ્યો
- અંતે ઓથોરીટી સામે પશુ સભા યોજાઇ…
- નગરપાલિકાએ પશુઓને પાંજરે પુરવાનો દાવો કર્યો.. સામે પશુઓ આંદોલનના મૂડમાં

અમે અબોલ છીએ તો શું અમારું પણ તો કોઈ સાંભળો.. અમારી વેદના તો સમજો … અમારા માટે પણ જગ્યા નિયત કરો… માલિકો અમને તરછોડી દે તો અમે તો રોડ ઉપર જ અડિંગો જમાવીએ ને.. કદાચ રોડ ઉપર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ પોતાનું મો હલાવતા હલાવતા આવા જ વિચારો કરતાં હશે. ભરુચ નગરપાલિકા દ્વારા એક દિવસ પશુઓને પાંજરે પૂરી સંતોષ માન્યા બાદ હવે પશુઓ આંદોલનના મૂડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પહેલા નગરપાલિકા સામે ધરણાં પ્રદર્શન… બાદમાં રેલી…. અને હવે ભરુચ – અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી સામે સભા યોજવામાં આવી… નથી સાચું લાગતું તો વાંચો આ અહેવાલ

આ તસવીર છે ભરુચ નગર પાલિકા કચેરીની બિલકુલ સામેની… રસ્તા ઉપર મસ્ત મૌલા બનીને આ પશુઓ બેઠા છે. અને મન જાણે મક્કમ કરી દીધું હોય કે વાહનોએ આવન જાવન કરવી હોય તો કરે અમારે એમાં શું… પોલીસે પણ આવવું હોય તો આવે અમે તો અહી જ ધરણાં કરવાના… નગરપાલિકા કચેરી સામે જ બેસીશું અમને કોઈ હટાવી નહીં શકે…..

નગરપાલિકાના સત્તાધીશોએ તેઓની આદત મુજબ આ પશુઓનું કઈ સાંભળ્યુ નહીં હોય તેથી આ પશુઓએ બીજો રસ્તો અપનાવ્યો.. આંદોલનના પેંતરા પણ પશુઓ માણસો પાસેથી જ તો શીખ્યા છે. એટ્લે ધરણાં પ્રદર્શન કામ ન લાગતાં પશુઓએ જંગી રેલી કાઢવાનું નક્કી કર્યું… અને આ ફોટોમાં જેમ જોઈ શકો છો તેમ પશુઓ શિસ્તબદ્ધ રીતે માર્ગ ઉપરથી રેલી સ્વરૂપે પસાર થઈ રહ્યા છે. બસ હક્ક માટે કુછ ભી કરેગા તેવી ભાવના તેઓમાં લાગી રહી છે..
ભાઈ આ તો તંત્ર છે કઈ તમારી વાત એમ ને એમ થોડી માની લેશે.. આજ સુધી કેટલીય રજૂઆતો ફાઈલો બની ગઈ છે તો તમે શું છો… પશુઓની રેલીની પણ કઈ અસર તંત્ર પર થઈ નહીં… અને તેથી આખરે પશુઓએ સીધું અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી સામે જ બાંયો ચઢાવી… ભરુચ –અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી BAUDA અંતર્ગત નવો ટીપી પ્લાન બનવા જઇ રહ્યો છે તેમાં તો કોઈ જગ્યા મળશે તેવી આશા સાથે આ પશુઓએ બૌડા સામે જ સભા યોજી નાખી. મુખ્ય માર્ગ ઉપર જેનું જે થવું હોય તે થાય પરંતુ અમે તો ન્યાય મેળવી ને જ રહીશું ની ભાવના સાથે પશુઓ બૌડા સામે સભા યોજી પોતાના માટે ન્યાયની માંગ કરતાં આ ફોટોમાં નજરે પડે છે…

ભરૂચમાં રખડતા/હરાયા ઢોરના પરિણામે બે વ્યક્તિના જીવ ગયા છે
આખા ગુજરાત માં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ભરૂચમાં રખડતા ઢોરના પરિણામે પાછલા વર્ષોમાં ૧ વિધાર્થી સહિત ૨ વ્યક્તિઓના જીવ ગયા છે તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ભરૂચ નગર પાલિકા દ્વારા માત્ર દેખાવા સ્વરૂપે ૫-૭ ઢોર ને પાંજરે પૂરતા ફોટા પડાવી હાશકારો માનવામાં આવે છે પરંતુ તેનું કોઈજ નક્કર પરિણામ આવ્યું નથી.
ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદાઓ શું ભૂલાઇ ગયા?
ચૂંટણી પૂરી થયા બાદ સત્તાધીશો પણ કદાચ ભૂલી ગયા હશે કે ચૂંટણી ઢંઢેરામાં પણ આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવાં વાયદાઓ શહેરીજનોને કરવામાં આવ્યાં હતાં. ત્યારે આ તમામ વાયદાઓ માત્ર પ્રજા માટે સપના જ બની ગયા હોય તેવું લાગે છે. સત્તા પર કોઈ પણ આવે પરંતુ સમસ્યાઓને ભોગવવાનો વારો તો હંમેશા પ્રજાનો જ આવે છે.
આ અહેવાલ પાછળનો આશય માત્ર એટલો જ છે કે એક – બે પશુઓને પાંજરે પૂરી કામગીરી બતાવવાથી કઈ થવાનું નથી તેના માટે ચોક્કસ આયોજન કરવું પડશે અને જે પશુ માલિકો પોતાના ઢોરને રઝળતા મૂકી દે છે તેઓ સામે કડક પગલાં ભરવા પડશે. ઉપરાંત જે પશુઓ રસ્તા ઉપર મળે છે તેઓને નિયમિત પણે પકડી પાંજરાપોળ માં મૂકવાની વ્યવસ્થા કરવી પડશે તો જ આ સમસ્યાનું નિરાકાર આવશે. આ અહેવાલ ભરુચ જિલ્લા વહીવટી તંત્રને સાદર અર્પણ