Published by : Rana Kajal
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે સતત રશિયન ઓઈલની આયાત કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભારતની આ વિદેશ નીતિની પ્રશંસા કરી છે. પરંતુ કેટલાક દેશો એવા પણ હતા જેઓ ભારત પર પ્રતિબંધ લાદવાની વાત કરી રહ્યા હતા. હવે અમેરિકાએ તે તમામ માંગણીઓને સદંતર ફગાવી દીધી છે અને એ વાત પર ભાર મૂકીને કહ્યું છે કે, ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવશે નહીં.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કેરેન ડોનફ્રાઈડે જણાવ્યું કે, અમે ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાના નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારતના એ પગલાને પણ આવકારીએ છીએ જેમાં યુક્રેનને તેના તરફથી માનવતાવાદી સહાય આપવામાં આવી હતી. ભારતે જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી તે નિવેદનને પણ આવકારવું જોઈએ. હવે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે યુદ્ધના મધ્યમાં રશિયન ઓઈલની આયાત એક મોટો મુદ્દો બની ગયો હતો. કારણ કે અમેરિકા રશિયાને આર્થિક રીતે સંપૂર્ણપણે નબળું પાડવા માગતું હતું. આવી સ્થિતિમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય તેના ઓઈલ સપ્લાઈને નુકસાન પહોંચાડવાનો હતો.