ગુજરાતના 32 મુદ્રાઓ પૈકી એક ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજી અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે આવેલ છે. ક્ષિપ્રા ગણેશ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર રહેલું છે.
દરેક કાર્યમાં પ્રથમ પૂજનીય દેવ એવા ગણેશજી સૌને પ્રિય છે. તો સમગ્ર ભારતભરમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે ક્ષિપ્રા ગણેશ મંદિર સવિશેષ છે. સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્દ ગીતામાં ઉલ્લેખ કરાયો છે. આ સ્થળે પ્રથમ ગોતમ ગણેશજીનું મંદિર હતું જે જીર્ણ થઇ જતા અહી ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરાયું છે સાથે જ માંડવ્યેશ્વરનાથ મહાદેવ અને પાવન સલીલા માં નર્મદાનું પણ અહી મંદિર આવેલું છે ત્યારે ભક્તોની આસ્થા આ સ્થળ સાથે સંકળાયેલ છે.
ગુજરાતના એક માત્ર ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વરમાં બિરાજમાન
ક્ષિપ્રા ગણેશની 32 મુદ્રાઓ પૈકી આ એક ક્ષિપ્રા મુદ્રા વાળા ગણેશજી અહીં બિરાજમાન છે. ક્ષિપ્રા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે શીઘ્ર ફળ આપનાર. આ ગણેશજી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની અહીંની ધાર્મિક માન્યતા રહેલી છે.સમગ્ર ભારતમાં ક્ષિપ્રા ગણેશજીના કુલ નવ મંદિરો તો ગુજરાતના એક માત્ર ક્ષિપ્રા ગણેશ અંકલેશ્વરમાં બિરાજમાન છે. આજે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભકતોએ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં આજે માનવ મહેરામણ ઉમટયુ હતુ.
ક્ષિપ્રા ગણેશજીની પ્રતિમાની વિશેષતા
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી પ્રતિમાની વિશેષતા એ છે કે ગણેશજીને જમણી તરફ સુંઢ છે જે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અન્ય દેવાલયોમાં ગણેશજીને ડાબી તરફ સુંઢ હોય છે. ભગવાન ગણપતિના ચાર હાથમાં અલગ અલગ વસ્તુઓ છે જેનું ધાર્મિક મહત્વ રહેલુ છે. એક હાથમાં લાડુ છે જે મીઠાશ આપે છે. બીજા હાથમાં કલ્પવૃક્ષ છે જે જીવન કલ્પવૃક્ષ સમાન બનાવવા શીખ આપે છે. ત્રીજા હાથમાં ગદા રહેલી છે જે દંડનું પ્રતિક છે. અંકલેશ્વરનું ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું અનેરુ પ્રતિક રહેલુ છે.