પહેલાનો સમય હતો કે જયારે પાયદળ જ મહત્વનુ હતુ. ત્યારબાદ દરિયાઇ સેવાઓના વિકાસ થતાઁ સાથે સાથે દરેક દેશનુ નૌકાદળ પણ અસ્તિત્ત્વમાઁ આવ્યુ. આજના આધુનિક યુગમાં તો પાયદળ, નૌકાદળ અને વાયુદળ તો દરેક દેશ માટે અવિભાજ્ય અંગ ગણી શકાય. જમીન અને આકાશથી અલગ સમુદ્રી જળસીમાઓ પર દેશની રક્ષા કરનાર સૈનિકોની દુનિયા જ જહાજ હોય છે. તેઓ જ્યારે કોઇ દુશ્મન જહાજને ડુબાડે કે હરાવે એ દિવસ એમના માટે કોઇ પર્વથી ઓછો હોતો નથી.
૪ ડિસેમ્બર દર વર્ષે નિયમિત રીતે ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની પાંચમી સૌથી મોટી નૌકાદળ સેના આપણી ગણાય છે. ૧૭મી સદીના છત્રપતિ શિવાજી ભોઁસલેના મરાઠા સમ્રાટને “ભારતીય નૌકાદળના પિતા” તરીકે ઓળખવામાં આવે છે. આપણું ભારતીય નૌકાદળ દેશની દરિયાઇ સુરક્ષા તેમજ આઁતરરાષ્ટ્રીય સંબંધો વધારવામાં ચાવીરુપ ભુમિકાઓ ભજવે છે. ભારતીય મહાસાગરમાં ભારતની સ્થિતી સુધારવા માટે ઉત્તરોતર ભારતીય નૌકાદળનુ નવીનીકરણ કરવામાં આવે છે. નૌકાદળના ઇતિહાસમાં ૧૯૭૧નું યુધ્ધ અદ્રિતીય હતુ. કરાંચી બંદર પર હુમલાની ઉજવણી તેમજ યુધ્ધના તમામ શહીદોના માન આપવા માટે ભારતમાઁ ૪ ડિસેમ્બરને દર વર્ષે “ભારતીય નૌકાદળ દિવસ “ ઇન્ડીયન નેવી ડે” તરીકે ઉજવવામાં આવે છે.