Published by : Anu Shukla
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બધા જ શિવભક્તો માટે મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ખૂબજ ખાસ ગણાય છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો અલગ-અલગ પ્રકારના વિવિઘ ઉપાય અજમાવે છે અને ભોલેને ગમતી વસ્તુઓ અર્પિત કરે છે. એટલું જ નહીં, ભક્તજનો ભોલેનાથને તેમનો ગમતો ભોગ પણ ધરાવે છે અને તેમની કૄપા મેળવવા માટે ભકતો બધા જ પ્રયત્નો કરે છે. ત્યારે મહાશિવરાત્રીના વ્રતમાં શિવજીને પ્રસન્ન કરવા માટે બનાવો મોરૈયાનો હલવો. મહાશિવરાત્રીના વ્રતમાં જો તમે ભગવાન શિવને ભોગ ધરાવવા ઈચ્છતા હોવ તો, સાવ સરળ રેસિપીથી મોરૈયાનો હલવો બનાવી શકો છો.
મોરૈયાનો હલવો બનાવવાની રેસિપી
સૌથી પહેલાં મોરૈયાને એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. એક કલાક બાદ તેનું પાણી નીતારી લો અને મોરૈયાનું પાણી સૂકવી દો. એક પેનમાં મધ્યમ આંચે મોરૈયાને થોડો શેકીને કોરો કરી દો. મોરૈયાને 10-15 મિનિટ સુધી શેકવો . આ દરમિયાન વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું જોઈએ, જેથી નીચેથી દાઝે નહીં. મોરૈયો બરાબર શેકાઈ જાય એટલે તેમાં ઘી નાખો અને સરખી રીતે શેકો. ઘી નાખ્યા બાદ ઓછામાં ઓછી 5 મિનિટ સુધી શેકો. ત્યારબાદ અંદર સ્વાદાનુસાર ઈલાયચી પાવડર અને સમારેલા સૂકામેવા નાખો.ત્યારબાદ તેમાં ખાંડ નાખો અને સરખી રીતે મિક્સ કરી લો. તમે તેમાં દળેલી ખાંડ પણ નાખી શકો છો.ખાંડ મિક્સ થઇ જાય એટલે તેમાં ગરમ પાણી નાખો અને મધ્યમ આંચે ચઢવા દો. મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી તેનું બધુ જ પાણી શોષાઈ ન જાય, ઘી છૂટુ ન પડે અને તેની કંસિસ્ટેન્સી હલવા જેવી ન લાગે. તૈયાર છે મોરૈયાનો હલવો. ભોલેનાથને ભોગ ધરાવો અને તમે પણ તેનો સ્વાદ માણો…