Published by : Vanshika Gor
આજે ચૈત્ર સુદ નોમના દિવસે દેશભરમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે સવારે 11.11 થી બપોરે 1.40 સુધી શ્રી રામની પૂજાનું શુભ મુહૂર્ત છે. આ ખાસ દિવસે, ભગવાન શ્રી રામનો જન્મદિવસ દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. . મહાભારતમાં વર્ણન છે કે એક વખત ભગવાન શિવે કહ્યું હતું કે, રામના નામનો ત્રણ વખત જાપ કરવાથી હજારો દેવી-દેવતાઓને યાદ કરવા સમાન ફળ મળે છે.અસત્ય પર સત્યની જીત અને ખરાબ પર સારાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસને દુનિયાભરના રામભક્ત ધામધૂમથી ઉજવે છે.
ત્રેતાયુગમાં લંકાનાં રાજા રાવણનો વધ કરીને અને પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. ચૈત્ર શુક્લ નવમીએ અયોધ્યામાં મહારાજા દશરથનાં ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. તેમની માતા કૌશલ્યાએ તેમને બપોરનાં સમયે જન્મ આપ્યો હતો એવામાં રામ જન્મોત્સવનું મુહૂર્ત પણ બપોરનાં સમયે જ હોય છે.
અયોધ્યાના રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. તમામ પરોપકારીઓ, તપસ્વીઓ, વિદ્વાન ઋષિઓ અને વેદ વિદ્વાન મહાન પંડિતોએ આ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. રાજા દશરથે તેની ત્રણેય રાણીઓમાં ખીરનો પ્રસાદ વહેંચ્યો. ચૈત્ર શુક્લ નવમીના દિવસે રાજાની ત્રણ રાણીઓ માતા કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયીએ આ ખીરનું સેવન કરીને ચાર પુત્રોને જન્મ આપ્યો હતો.
માતા કૌશલ્યાના ગર્ભમાંથી પરમ તેજસ્વી, ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો. આ સુંદર બાળકનું નામ રઘુવંશીઓના ગુરુ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રામચંદ્ર રાખવામાં આવ્યું. વશિષ્ઠના મતે રામ શબ્દ અગ્નિ બીજ અને અમૃત બીજ એમ બે અક્ષરોથી બનેલો છે. તેના ઉચ્ચારથી શરીર અને આત્માને શક્તિ મળે છે. આ સાથે માતા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો અને માતા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો. ઋષિ વશિષ્ઠે રાજા દશરથના ચાર પુત્રોના નામ આપ્યા હતા.