ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા રૂ.351ની પહોંચ ફડાવવી પડશે તેવું બોર્ડ લાગતાજ મંદિરે આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થાય તેવી સંભાવના જણાઈ રહી છે
ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા રૂ.351ની પહોંચ ફડાવવી પડશે તેવું બોર્ડ લાગતા મંદિરે આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. પરીણામે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતા હોય છે. હાલમાં જ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો જસદણના નાયબ કલેકટર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં નહી આવે તો ભાવિકો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવતાં તંત્ર ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. ભક્ત એવાં સંજય ગોસ્વામીએ એ જણાવ્યુ હતું કે આજે સવારે હું ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા માટે ગયો ત્યારે મેં આ બોર્ડ વાંચ્યું એટલે મને ખુબ દુઃખ થયું. કારણ કે પૂજા-અર્ચના અઢારેય આલમમાં કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. ચાર્જ નક્કી કરવાથી શ્રીમંત વ્યક્તિ જળાભિષેક કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે કદાચ લોટી પણ નહીં ચડાવી શકે.
જળાભિષેકનો ચાર્જ લેવા મુદ્દે અમારો સખ્ત વિરોધ છે જ્યારે નાયબ કલેકટરે પણ ખુલાસો આપતાં જણાવ્યું હતું કે મે જ આ નિર્ણય લીધો છે કે વધુમાં જસદણના નાયબ ક્લેક્ટર રાજેશ આલને આ મુદ્દે પૂછતા જાણવા મળ્યું કે, જળાભિષેક માટે 351 રૂપિયા ચૂકવવાનો આદેશ એ એક પ્રકારે ટ્રસ્ટમાં જમા કરવા બરાબર છે. તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી પ્રસાદી આપવામાં આવતી નહોતી. છેલ્લા એક મહિનાથી અહીં દર્શન માટે આવતા ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે. તેમજ મંદિરની સાફ-સફાઇ કરાવાઇ રહી છે. તેમજ ગાર્ડનમાં લોન વગેરે જેવા કામો કરાવ્યા છે. તેઓ જણાવે છે કે અહીં મંદિરમાં ધામા નાખીને બેસતા લોકો પાસેથી અમે રૂમની ચાવીઓ લઇ લીધી છે તેથી તેઓ વિરોધ કરતા રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ દેવાધિદેવ મહાદેવાનું મંદિર છે. અહીં કોઇ એકનો ઇજારો નથી. તમામને જળાભિષેક કરવાનો હક છે. જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિરમાં પણ પૂજા કરવા માટે નાણાં ચૂકવવા પડે છે. અહીં પણ જે રકમ આવશે તે યાત્રિકોની સુવિધાઓ માટે વપરાવાની છે. આ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે અમે આ પ્રકારના નિર્ણયો લેતા હોઇએ છીએ. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું . તેથી મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે એટલે ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધો છે.