Published By : Patel Shital
- શહેર અને જિલ્લાના જાહેર કરાયેલા કેટલાક પ્રોજેક્ટ હજી આગળ વધ્યા નથી…
- રતન તળાવ બ્યુટીફીકેશન, રંગ ઉપવન કોમ્પ્લેક્ષ, ફાયર સ્ટેશન, દહેજ હોસ્પિટલ અને ફાયર…
- કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર, શુકલતીર્થ યાત્રાધામ વિકાસ…
- ભરૂચ ડમ્પિંગ સાઇટ સહિતના પ્રોજેક્ટો ક્યાંક ને ક્યાંક અટવાયેલા…
રાજ્ય અને ભરૂચ, અંકલેશ્વર પાલિકા સહિત જિલ્લાના બજેટો દર વર્ષે જાહેર થાય છે. જેમાં કેટલીય યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે. પણ ભરૂચ જિલ્લાના કેટલાક એવા વિકાસના કામો છે જે માત્ર કાગળ પર જ આગળ વધ્યા છે.

ભરૂચ શહેરની મધ્ય આવેલું ઐતિહાસિક રતન તળાવ હોય કે પછી રંગ ઉપવન. પ્રવાસન યાત્રાધામ હેઠળ કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુકલતીર્થનો કરોડોના ખર્ચે વિકાસ.

ઝાડેશ્વર સાંઈ મંદિરની બાજુમાં આવેલું તળાવ અને તેના ડેવલોપમેન્ટની વાત હોય. મકતમપુર ખાતે નવું આધુનિક ફાયર સ્ટેશનના નિર્માણની કામગીરી કે ભરૂચની ડમ્પિંગ સાઇટનો સવાલ હોય.

આવી જ રીતે દહેજમાં ઔદ્યોગિક વિસ્તારને લઈ મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલ અને અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાની યોજના. તો અંકલેશ્વર, જંબુસર, વાગરા, હાંસોટ, ઝઘડિયા, આમોદ, નેત્રંગ અને વાલિયા તાલુકામાં પંચાયત દ્વારા વિકાસના કામો હોય.

આવા કેટલાય પ્રોજેક્ટો છે જે પાછળના કેટલાક વર્ષોમાં આગળ નહી વધી ક્યાંક ને કયાંક અટવાઈ કાગળ પર જ રહી ગયા છે. દર વર્ષે બજેટમાં આ પ્રોજેક્ટો સાથે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. કેટલીક યોજનાઓ અને વિકાસના કામોની શરૂઆત પણ થઈ જાય છે.
જ્યારે કેટલાક મહત્વના વિકાસના કામો એક યા બીજા કારણોસર વિલંબિત થવા સાથે શરૂ જ થઈ શકતા નથી.

ગોલ્ડનબ્રિજની બાજુમાં બે વર્ષથી નવો ફોરલેન નર્મદા મૈયા બ્રિજ કાર્યરત છે. બ્રિજ નિર્માણ પહેલા ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટી બની જશેની વાતો કરાઈ હતી.

અમદાવાદ-ગાંધીનગરની જેમ ભરૂચ અને અંકલેશ્વર બ્રિજના પગલે ટ્વિન સિટી બની જતા વિકાસ વધુ વેગ પકડશે. સુવિધા, સવલતો, ઇન્ફ્રાસ્ટ્રકચર ઝડપી બનશે. જો કે અકસ્માતોના કારણોસર બ્રિજ પરથી સિટી અને ST બસને જ પરવાનગી નહિ હોવાથી ટ્વિન સિટીનું સ્વપ્ન સાકાર થઈ શક્યું નથી.