- ચાર દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલનો જ્યાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યાં દબાણ હોવાનું બહાનું આગળ ધરી અધિકારીઓની ટીમ પહોચી
- ભાજપા દહેશતની રાજનીતિ કરતું હોવાના આપના આક્ષેપ
- અમે તમામ પાર્ટીઓને પ્લોટ આપ્યા છે ત્યારે કઈ ન થયું અને હવે બુલડોઝર આવી ગયું : પ્લોટ માલિક
વડોદરા : વડોદરા ખાતે ચાર દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે શિક્ષકો તેમજ વાલીઓ સાથે સંવાદ યોજ્યો હતો. આ કાર્યક્રમ વડોદરાના પ્રીત પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જ્યાં ચાર દિવસ બાદ આજે મહાનગરપાલિકાના અધિકારીઓએ બુલડોઝર લઈને પહોચી ગયા અને કેટલોક ભાગ ગેરકાયદેસર હોવાનું જણાવી તેને તોડવાની તજવીજ હાથ ધરી હતી જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં પહોચી ગયા હતા અને જેસીબીની સામે બેસીને વિરોધ નોંધાવ્યો હતો. અને નારેબાજી કરી હતી.

વડોદરા ખાતે આવેલ પ્રીત પાર્ટી પ્લોટ ખાતે ચાર દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે વડોદરા ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ન યોજાય તે માટે ભાજપાના આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તમામ પાર્ટી પ્લોટના સંચાલકોને ધાક ધમકી આપી હોવાનો પણ ગણગણાટ થયો હતો . જો કે અંતે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ જે પાર્ટીપ્લોટમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં આજરોજ સવારે મહાનગરપાલિકાના અધિકારીઓ બુલડોઝર લઈને પહોચી ગયા હતા. અને તેનો કેટલોક વિસ્તાર ગેરકાયદેસર હોવાનું જણાવી તેને તોડવાની કવાયત હાથ ધરી હતી.

પાર્ટી પ્લોટના માલિકે આ અંગે જણાવ્યુ હતું કે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ મળી નથી અને આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકરોને થતાં તેઓ સ્થળ પર પહોચી ગયા હતા અને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. તમામ કાર્યકરો બુલડોઝર આગળ બેસી ગયા હતા અને નારેબાજી કરી હતી. મનપાના અધિકારી જણાવ્યુ હતું કે પાર્કિંગનો કેટલોક વિસ્તાર ગેરકાયદેસર છે જેને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપા ડરની રાજનીતિ કરી રહી છે. લોકોને દરાવી ઢાંકવી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો ન થાય તેવા પ્રયાસો કરી રહી છે. પરંતુ લોકો આપ સાથે છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)