Published By : Patel Shital
અંદાજિત 800 વર્ષ જૂના વાઘેશ્વરી મંદિર ખાતે જુનાગઢ સહિત દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આઠમના દિવસે અહીં શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે હવનનું પણ આયોજન કરાશે.
ગરવા ગિરનારની ગોદમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘેશ્વરી મંદિર અનેક માય ભક્તોનું આસ્થાનું કેન્દ્ર. હિન્દુ પંચાગ અનુસાર વર્ષમાં 4 નવરાત્રી આવે છે. મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ 4 મહિનામાં નવરાત્રી આવે છે જેમાં આસો નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. માતાજીની આરાધનાનું પર્વ છે જેનું આધ્યાત્મિક મહત્વ પણ અનેરૂં છે. જૂનાગઢમાં ગિરનાર તળેટી જતાં રસ્તે ડુંગરોની ગોદમાં માં વાઘેશ્વરીનું પ્રાચીન મંદિર આવેલું છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.
માં વાઘેશ્વરીનું મંદિર પ્રાચીન મંદિર છે. હાલનું મંદિર જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે અને તેનો 3 વખત જીર્ણોધ્ધાર પણ થઈ ચુક્યો છે. મંદિરમાં માતાજીના આભૂષણો પણ નવાબીકાળના છે, હાલ જે માતાજીને હાર ધરાવવામાં આવે છે તે જૂનાગઢના નવાબે અહીં પધરાવ્યો હતો. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના વામન અવતારમાં તેઓ ભગવાન વામન રૂપે આ સ્થળે આવ્યા હતા અને અહીંથી જ વામનસ્થલી કે જે આજનું વંથલી છે ત્યાં ગયા હતા અને બલી રાજાના યજ્ઞમાં ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી.
હાલનું જે પ્રાચીન મંદિર છે તે ઉપરાંત ડુંગરમાં ઉપરના ભાગે વાઘેશ્વરીનું મંદિર પણ આવેલું છે જે પગથિયાં ચડીને ડુંગરની વચ્ચે આવેલું છે ત્યાં પણ ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શને જાય છે. નવરાત્રી દરમિયાન માં વાઘેશ્વરીના મંદિરમાં 3 વખત આરતી થાય છે તેમાં પણ સંધ્યા આરતી સમયે મોટી સંખ્યામાં ભાવિકો આરતીમાં જોડાય છે, આરતી સમયે પણ મંદિરમાં પ્રવેશ નિષેધ છે, ભાવિકો મંદિરના પટાંગણમાંથી જ આરતીના દર્શન કરે છે.