Published by : Vanshika Gor
મહીસાગરની એક શાળામાં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારી શાળામાં આ કાર્યક્રમ દરમિયાન બળાત્કારનો દોષિત એવા આસારામની આરતી ઉતારવામાં આવી હતી. જે પછી આ મામલામાં બે શિક્ષકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.જે પછી તંત્રએ પણ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. હવે તેમને કચ્છના છેવાડે બદલીનો હુકમ કરી દેવામાં આવ્યો છે.
બે દિવસમાં ખુલાસો માગ્યો હતો
મહિસાગરની સરકારી શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણીમાં આસારામની આરતી ઉતારવાના મામલામાં તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ બિપિન પટેલ અને જામા પગીના મુવાડાની પ્રાથમીક શાળાના આચાર્ય શિક્ષકો તપાસમાં દોષિત ઠર્યા છે. તાલુકા શિક્ષણાધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલામાં અહેવાલ સુપ્રત કર્યો છે. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલામાં બે દિવસમાં ખુલાસો રજૂ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
શું હતો મામલો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ કે જે વાવના મુવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને એક શિક્ષક છે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા બળાત્કારી આશારામની આરતી ઉતરાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.