Published By : Patel Shital
- કોરોના કાળમાં બંધ થયેલી ભરૂચ અને નર્મદા જિલ્લાની 2 ટ્રેન ભૂતકાળ બની…
- ₹1500 કરોડના ખર્ચે ઔદ્યોગિક વસાહત અને આદિવાસી વિસ્તારને જોડતી 2 રેલ્વે સેવા કોરોનાનો કોળિયો બની…
- ભરૂચ-દહેજ અને અંકલેશ્વર-રાજપીપળા પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા અંગે રેલ્વે પણ હાલ અસ્પષ્ટ…
વર્ષ 2012 માં ભરૂચ-દહેજ અને અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે શરૂ થયેલી પેસેન્જર ટ્રેન સેવાનો 8 વર્ષમાં જ મહામારીને લઈ મૃત્યુઘંટ વાગી ગયો હતો.
હાલ ઔદ્યોગિક અને આદિવાસી 2 જિલ્લાને જોડતી આ 2 મહત્વની પેસેન્જર રેલ સુવિધા ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ નિશ્ચિત સમય અવધિ રેલ્વે તંત્ર પાસે પણ નથી. વડોદરા રેલ્વે ડિવિઝનમાં અંકલેશ્વર-રાજપીપળા રજવાડી નેરોગેજ ટ્રેન 111 વર્ષ જૂની હતી. જ્યારે ભરૂચમાં ભરૂચ-જંબુસર-કાવી નેરોગેજ ટ્રેન 108 વર્ષ જૂની અંગ્રેજોના સમયથી હતી. બન્ને ટ્રેન સેવા ગેજ પરિવર્તન માટે બંધ કરાયા બાદ બ્રોડગેજ કરવામાં આવતા 2009 માં શરૂ કરાઇ હતી. ભરૂચ-દહેજ ઇલેક્ટ્રિક રેલ્વે લાઈન પર મેમુ ટ્રેન જ્યારે અંકલેશ્વર-રાજપીપળા પર ડીઝલ ટ્રેન સવાર અને સાંજ 2 ટાઈમ દોડાવાતી હતી. બન્ને પ્રોજેકટ પાછળ 1500 કરોડ જેટલો ખર્ચ કરાયો હતો.
ભરૂચ-દહેજ વચ્ચે 6 સ્ટેશન અને અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે 12 સ્ટેશન પર ટ્રેન થોભતી હતી. જો કે બન્ને ટ્રેન દોડાવવા પાછળ રોજીંદો 40 હજાર ઉપરાંતનો ખર્ચ થતો હતો. જેની સામે પેસેન્જર ભાડાની આવક માત્ર 4000 જેટલી થતી હતી. બુલેટ અને હાઈ સ્પીડ ટ્રેનના જમાનામાં આ બન્ને ટ્રેનો માંડ 55 થી 65 કિલોમીટરની ઝડપે દોડી 55 થી 67 કિલોમીટરની દુરી પાર કરવા બે થી અઢી કલાક લેતી હતી. રેલ્વે પેસેન્જર સેવા માટે ખોટના ખાડામાં પણ બન્ને ટ્રેનો દોડાવાતી હતી. દરમિયાન 2020 માં કોરોના મહામારી આવતા દેશની લાઈફ લાઈન રેલ્વે થંભી જવા સાથે આ 2 ટ્રેનો પણ બંધ થઈ હતી.
છેલ્લા 37 મહિનાથી બન્ને જિલ્લા માટે મહત્વની બન્ને પેસેન્જર ટ્રેન હાલ બંધ છે અને તેના રૂટ પર આવેલા 20 રેલ્વે સ્ટેશનો ટ્રેનની કાગડોળે વાટ જોઈ રહ્યાં છે. જો કે ફરી આ ટ્રેનો દોડશે કે નહીં તે અંગે રેલ્વે તંત્ર જ હાલ અકળ મૌન સેવી રહ્યું છે.