Published by : Rana Kajal
પ્રાચીન સમયમાં માણસ કાચા ઝુંપડા જેવા રહેઠાણમાં રહેતો હતો. દરેક માનવ સમૂદાય પોતાની જરુરીયાત મુજબ રહેઠાણ બનાવતો, આધુનિક સમયમાં દરેક માણસની કલ્પના એક આલિશાન બંગલામાં રહેવાની હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ઇરાનના એક ગામમાં આજે પણ લોકો ગુફા જેવા રહેઠાણમાં રહે છે.આ ગામનું નામ કંદોવન છે. કંદોવનમાં જઇએ ત્યારે જાણે કે સદીઓ જુની કોઇ દુનિયામાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે.
દૂરથી જોતાં જાણે કે કોઇ પક્ષીઓનો માળો કે જંગલી પ્રાણીની બખોલ હોય તેવું જણાય છે. પેઢી દર પેઢી બદલાતી રહી પરંતુ મકાનની ડિઝાઇન સદીઓ જુની જ રહી છે. એવું માનવામાં આવે છે કે કંદોવન ગામમાં મંગોલ આક્રમણ ખોરોથી બચવા માટે એકાંત સ્થળે આ પ્રકારના ઘર તૈયાર કર્યા હતા. મંગોલ ચંગેઝખાનને શહેરી વસાહતો માટે નફરત હતી આથી તેના ખોફથી બચવા આ પ્રકારના ઘર અસ્તિત્વમાં આવેલા છે.
પહેલા તો આક્રમણથી બચવા પહાડો પર જતા રહેતા… તૈયાર પછી પહાડો ખોદીને ગુફા જેવા ઘર તૈયાર કરી રહેવા લાગ્યા… સમય સંજોગો બદલાતા ગયા પરંતુ ગામ લોકો અહીંયા જ સ્થાઇ થયા છે. ગામમાં કુલ ૭૦૦ લોકો હાલમાં વસવાટ કરે છે. ઘરની ડિઝાઇન અને લે આઉટને બહારથી જોવામાં આવેતો સાવ સાધારણ જણાય છે. જાણે કે હાડમારીનો પાર નહી હોય પરંતુ અંદર ગરમી અને ઠંડી બંને હવામાન સામે રક્ષણ મળે છે.
ગામના લોકોએ પોતાના ઘરમાં કયારેય શિયાળામાં હિટર કે ઉનાળામાં એર કન્ડીશનરની જરુર પડતી નથી. અનૂકુળ વાતાવરણ જળવાતું હોવાથી આરામદાયક લાગે છે. બહારથી કદરુપા લાગતા ઘરમાં રહેવામાં ગામ લોકોને કોઇ જ સંકોચ થતો નથી. આ ઘર બનાવવાની કારીગરી જાણવા સમજવા માટે અનેક પ્રવાસીઓ કંદોવન ગામની મુલાકાત લે છે.