Published by : Vanshika Gor
મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને 35 થઇ ગયો છે. જેમાં કચ્છનાં 11 લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના 11 લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું.

આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક 15ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ 5 કલાકમાં 21 મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, હાલ મૃતઆંક 35 પર પહોંચ્યો છે.શુક્રવારે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્રની પણ અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. વાવમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે, જેને કારણે ટીમને મુશ્કેલીઓ પડી રહ્યો છે.