Published by : Anu Shukla
ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનનો આજે બીજો દિવસ છે. ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર મોડા પહોંચ્યા હતા. તે સવારે 10 વાગે પહોંચવાના હતા. પણ એક કલાક મોડા એટલે સવારે 11 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પર ઉતર્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મંત્રી તુલસી સિલાવત, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું.
સંમેલન સ્થળ પર 2200ની ક્ષમતાના હોલમાં 3000થી વધારે લોકોનો ધસારો થતાં જગ્યા ટૂંકી પડી હતી અને આમંત્રિતોને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જો કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ઘક્કા મૂક્કી અંગે માફી માગતાં કહ્યું કે, જગ્યા ટૂંકી છે પણ અમારું દિલ મોટું છે.
શિવરાજસિંહે કહ્યું : ભારતમાં બે નરેન્દ્ર થયા છે
બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં મોદી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. સ્વાગત પ્રવચનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શનથી આપણે લક્ષ્યોને હાંસલ કરવામાં સફળ રહીશું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આઝાદીના અમૃતમાં મને લાગે છે કે મધ્યપ્રદેશમાં અમૃત વરસી રહ્યું છે. આજે ભારત વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપી રહ્યું છે. CMએ કહ્યું- ભારતમાં બે નરેન્દ્ર થયા છે… 100 વર્ષ પહેલાં એક એવા નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજી હતા જેમણે ભારતને વિશ્વ ગુરુ કહ્યું હતું. આજે આ કામ બીજા નરેન્દ્રના નેતૃત્વમાં થઈ રહ્યું છે.
સુરીનામના રાષ્ટ્રપતિએ કહ્યું, અમારા દેશમાં અમે હિન્દી ભાષાની ટ્રેનિંગ પર કામ કરી રહ્યા છીએ
સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પોતાના ભાષણની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વંદન કરીને કરી હતી. તેમણે કહ્યું, અમે અમારા દેશમાં હિન્દી ભાષા, સંસ્કૃતિ અને આયુર્વેદ પર તાલીમ કેન્દ્ર સ્થાપવા પર કામ કરી રહ્યા છીએ. અમે હિન્દી ભાષાની શાળાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ એક યાદગાર ક્ષણ છે.
ગુયાનાના રાષ્ટ્રપતિએ મોદીને કહ્યું, આપણે દૂર છીએ પણ દિલ અને આત્મા જોડાયેલા છે
ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ કોરોના સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. ખાસ કરીને રસીકરણ. તેમણે મોદીના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આના વિના કોઈ આગળ વધી શકે નહીં. મહાત્મા ગાંધીને યાદ કરીને કહ્યું કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અન્ય દેશો માટે પ્રેરણાદાયી છે. ભારત પ્રવાસીઓ માટે જે કાર્યક્રમો ચલાવી રહ્યું છે તેમાંથી અમે ઘણું શીખી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે કહ્યું કે આપણી વચ્ચે અંતર છે, પરંતુ દિલ અને આત્મા જોડાયેલા છે. અહીં ભારતીયો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તેના માટે હું આભારી છું.
પીએમ બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. અહીં ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી અને સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને આવકાર્યા હતા. PM સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
બપોરે 1 વાગ્યે લંચ લેશે. લંચમાં 102 અતિથિઓ સામેલ થશે. તેમાં ગુયાનાના રાષ્ટ્રપતિ સહિત 4, સૂરીનામના રાષ્ટ્રપતિ સહિત 5, ઓસ્ટ્રેલિયાના જેનેટા મસ્કેરેહેન્સ, પનામાના 3, મલેશિયાથી 2, મોરેશિયસથી 7, યુકેના મેયર ઓફ સાઉથ વોક સુનિલ ચોપરા, 24 પેનલિસ્ટ અને 27 પ્રવાસી ભારતીય સન્માનિતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો એસ. જયશંકર, મનસુખ માંડવિયા, વી. મુરલીધરન, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, વિદેશ સચિવ વિનય ક્વાત્રા સહિત 10 અને રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ, ડીજીપી, ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, ભાજપ પ્રદેશ પ્રમુખ વીડી શર્મા, સાંસદ શંકર લાલવાણી, એસીએસ મોહમ્મદ સુલેમાન અને ફ્રેન્ડ્સ ઓફ એમપીના બે પ્રતિનિધિઓ સામેલ થશે.