- પ્રચાર-પ્રસાર, ખર્ચ સહિતની બાબતે માર્ગદર્શન અપાયું
- કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિ સાથે બેઠક યોજી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે શુક્રવારે વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિ સાથે બેઠક યોજી હતી. તેમણે પ્રચાર-પ્રસાર અને ખર્ચ સહિતની બાબત અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પ્રચાર અને પ્રસાર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં સભા કે રેલી માટેની પરવાનગી આવશ્યક છે.
ધર્મ કે જાતિના નામે વર્ગવિગ્રહ ન થાય એ રીતે પ્રચાર અને પ્રસાર કરવાનો રહેશે. ધાર્મિક સ્થાનો અને શૈક્ષણિક સંકુલોમાં પ્રચાર નહીં કરી શકાય. સરકારી ઇમારતો પર કોઇ પણ પ્રકારનું રાજકીય પ્રચારાત્મક સાહિત્ય લગાવી શકાશે નહીં. ખાનગી મિલકતો પર તેના માલિકની પરવાનગી વિના આવું સાહિત્ય નહીં લગાવાય. તેમણે વિવિધ પરવાનગી, રાજકીય પ્રવાસો સહિત મુખ્ય નિયમોનું માર્ગદર્શન રાજકીય પક્ષોને આપ્યું હતું. રાજકીય પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સેવા અને સાધનોના નિયત કરવામાં આવેલા દરોની પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. ચૂંટણી ખર્ચ માટે જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા વધારીને રૂા.40 લાખ કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ માટે એક જ બેંક ખાતું ખોલાવવાનું રહે છે. રૂા.10 હજાર કે તેના ઉપરના તમામ પ્રકારના આર્થિક વ્યવહાર ચેકથી કરવાના રહેશે.