ઋષિકેશનું નામ દેશના ખાસ તીર્થસ્થળોમાં જ નહીં, પરંતુ સૌથી સુંદર સ્થળોમાં પણ સામેલ છે. હવે ઋષિકેશની સુંદરતા બમણી થવા જઈ રહી છે. આ યોગનગરીમાં કાચનો પુલ એટલે કે ગ્લાસ બ્રીજ બનવા જઈ રહ્યો છે. ગંગાના બે કિનારાને જોડતો આ પુલ કાચનો બનશે. દેશનો આ પહેલો કાચનો પુલ હશે જેનો ઉપયોગ અવરજવર માટે કરવામાં આવશે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ઋષિકેશનો કાચનો પુલ બનાવનાર પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર નવો પુલ જુલાઈ 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી મુસાફરો પુલ પરથી મુસાફરી કરી શકશે.
લક્ષ્મણ ઝૂલાનું સ્થાન લેશે ગ્લાસ બ્રિજ
રામ અને લક્ષ્મણ ઝૂલા વિના ઋષિકેશની સફર અધૂરી છે. રામ અને લક્ષ્મણના ઝૂલામાંથી ગંગાનો નજારો વધુ સુંદર લાગે છે. લક્ષ્મણ ઝૂલો છેલ્લા કેટલાક સમયથી બંધ છે, જેના કારણે પ્રવાસીઓ રામ ઝૂલામાંથી જ ફરી શકે છે. પરંતુ હવે લક્ષ્મણના ઝૂલાનું સ્થાન નવો કાચનો પુલ લેશે.
પુલનું નામ છે બજરંગ સેતુ
ઋષિકેશમાં ગંગા નદી પર બનાવવામાં આવનાર કાચના પુલનું નામ બજરંગ સેતુ હશે. રામ અને લક્ષ્મણના નામ પરથી આ ત્રીજા પુલનું નામ હનુમાનજીના નામ પરથી રાખવામાં આવશે.
શું વાહનો પસાર થઈ શકશે?
આ પુલ ત્રણ લેનમાં બનાવવામાં આવશે. કાચનો પુલ પગપાળા માર્ગ પર બનાવવામાં આવી રહ્યો છે. વચ્ચે એક સામાન્ય પુલ હશે, જેની વચ્ચે નાના વાહનો પસાર થઈ શકશે, જ્યારે ફરવા માટે કાચનો પુલ હશે. જે રીતે રસ્તા પર ચાલવા માટે ફૂટપાથ હોય છે તે જ રીતે હશે.